મુજને સંત સમાગમ થાય.
સાચા સંતોના દર્શનથી ક્લેશ બધાયે જાય ... મુજને.
તન મન અંતર વચનામૃતમાં પાવન બનતાં ન્હાય,
પુનિત સ્પર્શથી સોહી ઊઠે કંચન જેવી કાય ... મુજને.
નિર્મળ મનના સંત મળે ને સુખ ના હૃદય સમાય,
મેલ બધા ધોઇ મન મંગલ કરતાં મુક્તિ પમાય ... મુજને.
મંગલમય દર્શનથી મારાં તન મન નૂતન થાય
‘પાગલ’ પ્રાણ લભી પૂરણપદ ધન્ય બનીને ગાય ... મુજને.
- શ્રી યોગેશ્વરજી