મારી ‘મા’ની પાસે હોય ગમે તે કષ્ટ તે મટી જાય,
મનના જે હોયે મેલ મહારી ‘મા’ની પાસે જાય.
મારી ‘મા’ની પાસે ત્રિવિધ ભલેને તાપ તે મટી જાય,
જે અન્ય રસ તણા સ્વાદ સ્વાદ તે સર્વે શીતલ થાય.
મારી ‘મા’ની પાસે આવો ત્યાં તો શાન્તિ શાન્તિ થાય,
આનંદ અને આનંદવારિનું મીન સૌ બની જાય.
મારી ‘મા’ તો મંગલ મધુર પુનિત છે, આવે તે પણ થાય,
‘પાગલ’માં, ‘મા’ માં, ભેદ મળે ના, હરખે હરખે ગાય.
મારી ‘મા’ તો કલ્પલતા છે, ઇચ્છા સૌની પૂરણ થાય,
મારી ‘મા’ની ગંગા વહે, વિવેકી એમાં નિશદિન ન્હાય.
- શ્રી યોગેશ્વરજી