તનનાં બારણાં બંધ કરીને મનના દ્વાર ઉઘાડો !
સૂર બધાયે ભંગ કરીને મંગલસૂર જગાડો ! ... તનનાં
જીવનમાં અંધારા છવાયા, ઝેરતણી જે વ્યાપી જ્વાલા,
અમૃત સ્પર્શે તેને ઠારો, પ્રકાશ ત્યાં પ્રકટાવો ! ... તનનાં
પ્રેમવિહોણું હૈયું તેને જાહનવી બનીને પલાળો,
બીન પ્રાણનું ગીત વિહોણું, ગીત તમારું જગાવો ! ... તનનાં
એકતાનમાં જીવન મારું બની જાય તન્મય રઢિયાળું,
રોમ રોમમાં દિવ્ય તમારું સ્વરૂપ જાગે તે જ નિહાળું ... તનનાં
એ જ કામના મારી આજે, પ્રેમ પ્રદીપ જગાવો,
પરમ પવિત્ર પ્રકાશે એનાં મારું દૈન્ય જલાવો ! ... તનનાં
- શ્રી યોગેશ્વરજી