જો જીવન રસને ચાહે, શાંતિ માગે,
તું કરી લે પ્રભુભક્તિ.
જો જીવન મંગલ ચાહે તું,
અંતરના ક્રંદન ટાળે તું,
સુખ શાંતિરૂપ પ્રભુ માટે વાપર શક્તિ ....તું કરી લે.
તું એનું નામ પકડી લે,
એના પ્રેમે મન જકડી લે,
ભરને અંતરમાં એની કેવલ મસ્તી ....તું કરી લે.
પાણીનો તરસ્યો ચાહે છે,
ને ભૂખ્યો અનાજ માગે છે,
એ પ્રભુને માટે એમ તલસતાં મનથી ....તું કરી લે.
લે એનું રૂપ નિહાળી તું,
એ વિના હો નહીં ચેન કશું;
તન ને મનની મેળવવા માટે મુક્તિ ....તું કરી લે.
પ્રેમાર્દ્ર બની પોકાર કરી,
જલ્દી લેજે એને નિરખી;
જોજે એની કદિયે તજતો અનુરક્તિ ....તું કરી લે.
- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)