મનવા લેને હરિનું નામ, સંકટ તારાં શમશે રે,
આધિવ્યાધિ ટળી જશે સૌ, ત્રણે તાપ ટળશે રે.
હરતાં ફરતાં લેને હરિનામ, વિધિ નથી કોઈ રે,
પાણી વેગે જીવન ચાલ્યું જાય, શાને રહ્યો જોઈ રે ?
ખંખેરી દેને આળસ તારી, કમ્મર કસ ભાઈ રે,
નામ જપતાં જશે તું તરી, શંકા નથી કાંઈ રે.
પ્રભુને સોંપ બધી તારી ચિંતા, તું જા તેને શરણે રે,
તેની માગ કૃપા દિનરાત, આનંદ મહા મળશે રે.
જોને મીરાં ને પ્રહલ્લાદ, નરસિંહ સૂર તુલસી રે,
કહે 'પાગલ' તરી ગયાં સૌ, પરમાત્માના ગુણથી રે.
- શ્રી યોગેશ્વરજી