સમુદ્રે સરોવરને કહ્યું :
‘તું તો અતિશય સીમિત છે.
મારા જેવું વિશાળ બની જા.
આવ, તને આશ્લેષ આપું; મારા સમાન સ્વરૂપ ધરું !’
સરોવરે સંભળાવ્યું :
‘ભાઈ સાગર ! હું સીમિત છું એ વાત સાચી છે.
છતાં પણ સરોવર છું એનો મને સંતોષ છે.’
‘એવો અર્થ વગરનો આત્મસંતોષ શા કામનો ?’ સમુદ્રે કહ્યું.
‘મારો આત્મસંતોષ અર્થ વગરનો નથી.’ સરોવરે કહ્યું :
‘જો આ પથિક એની પ્રતીતિ કરાવી આપશે.’
એટલામાં તો પથિક આવી પહોંચ્યો ને પાણી પીવા માંડ્યો.
સમુદ્ર એ જોઈ શાંત થયો.
સરોવરને સંતોષ થયો.
- શ્રી યોગેશ્વરજી