હે મારા પરમ પ્રભુ !
દુઃખોને દૂર કર અથવા તો
ચિંતા તથા પરિતાપના પાવકને પ્રજ્વલિત ના કર
એવું હું નથી કહેતો.
મારી પ્રાર્થના તો એટલી જ છે કે,
એમાં હું અટવાઈ ના જાઉં,
પરંતુ એમાંથી સહીસલામત પાર ઊતરું.
એટલી કૃપા કરી દેજે !
કષ્ટ, પરિતાપ, યાતના કે વેદના તો તારો હથોડો છે.
એનાથી મારા જીવનને તું ઘડે છે,
ટીપે છે, અને અનુકૂળ આકાર આપે છે.
ફક્ત એ હથોડાથી એ એકદમ ટીપાઈને
ધ્વસ્ત કે નામશેષ ના થઈ જાય,
પરંતુ સાનુકૂળ અને સુંદર આકારમાં આવિર્ભાવ પામે,
એટલી કૃપા કરી દેજે !
હે મારા પરમ પ્રભુ !
દુઃખ, દર્દ, ચિંતા ને યાતના
આવવાના જ હોય તો ભલે આવે;
પરંતુ આટલું તો અવશ્ય કર :
મારા અંતરમાં ધૃતિ, તિતિક્ષા, ને વીરતા ભર:
એને લોખંડી કર. સનાતન સુખ ધર.
- શ્રી યોગેશ્વરજી