જ્યાં ભય નથી, વૈમનસ્ય નથી, ધિક્કાર નથી,
પરસ્પરના ભેદભાવની દુર્ભેદ્ય દીવાલો તૂટી પડી છે,
માનવ માનવ વચ્ચેના પ્રેમની
પતિતપાવની મધુમય મંદાકિની પ્રકટી રહી છે.
સંસારના સઘળા સભ્યો
એક જ કુટુંબના સદસ્યો સમા
સ્નેહાળ સેવાપરાયણ સૌરભભીના બનીને શ્વાસ લે છે;
વિસંવાદની શતશત સિતારીઓની વચ્ચેથી પણ
સંવાદના સ્વર્ગીય સૂર છૂટે છે:
અને સૌ કોઈ એનો અમીમય આસ્વાદ લૂંટે છે.
સત્યને જ્યાં એનું પોતાનું સિંહાસન સમર્પિત થયું છે,
અસત્યનું અવસાન થયું છે;
દંભના દાનવે સરળતાને સારું પોતાનું ઘર ખાલી કરી આપ્યું છે;
શોષણને સ્થાને પોષણ છે
સ્વાર્થને બદલે નિઃસ્વાર્થતા,
સત્તાખોરીને બદલે સેવાની તમન્ના કે સદ્દભાવના;
શરીરના સ્વાદમાં લપટાઈને
માનવે જ્યાં આત્માની અવજ્ઞા નથી કરી
અને જડ જગતની આરાધનામાં
આત્મોન્નતિનું અવસાન નથી થયું :
સ્વતંત્રતાનો સદાય થાય છે સદુપયોગ
સ્વ અને પરની સમુન્નતિને માટે:
માનવની બધી જ બેડીઓ તૂટી પડી છે;
મન, વચન, વાણી, કલમને મુક્ત છતાં મંગલ રીતે
વહેવાના અવકાશની ગૌરવભરી ઘડી છે :
માનવતાનું કમનીય કમળ
સત્કર્મના સૂર્યોદયથી શત શત દલે ખીલી ઊઠ્યું છે,
દાનવતાનું દલ દૂર થયું કે ભાગી છૂટ્યું છે :
એવું વાયુમંડલ
આ વિશાળ વિશ્વમાં વ્યાપ્ત કરી દો, સર્વશક્તિમાન !
એવી ઉષાની ઉલ્લાસમય માધુરી
પૂર્વ ને પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ, બધે જ ભરી દો :
એવા દૈવી દિનનું અને દિવસોનું પ્રાક્ટય
પૃથ્વી પર કરી દો.
- શ્રી યોગેશ્વરજી