અંધકારના અનેકાનેક આવરણો એકાએક બધે ફરી વળ્યાં.
ચપલા ચમકવા માંડી, ગગનમાં ગગડાટ શરૂ થયા,
થોડીવારમાં તો વરસાદ વરસવા માંડ્યો.
કુદરતની કળા તો જુઓ !
ધોળે દિવસે રાત્રીએ જાણે કે અંધારપટ પાથરી દીધો !
પરંતુ....
ઘડી બે ઘડી પછી એનો પણ અંત આવ્યો.
સૂર્યનાં કોમળ કિરણો પર્વત પર બધે જ પ્રકાશી ઊઠ્યાં !
આકાશ નિરભ્ર બની ગયું; એના ઉત્સવમાં ચમકવા લાગ્યું.
અંધકારના અનંતાનંત આવરણો ભલે આવે,
ચિંતાની ચપલાઓ ચમકાર કરે,
વેદનાના વહ્નિ પણ ચારે તરફથી વીંટળાઈ વળે;
આપત્તિના અભ્રના ઘોર ગગડાટ થાય, વિષાદની વર્ષા થાય;
અરે, ઘડી બે ઘડીને માટે સૌભાગ્યનો સોનેરી સૂરજ છુપાઈ જાય, તો પણ શું ?
અંધકારની પાછળ પ્રકાશ જરૂર છે તેની મને ખાતરી છે.
ચિંતાની પાછળ નિશ્ચિંતતા, વિયોગની પાછળ યોગ,
વેદનાની પાછળ આનંદ આવવાનો જ છે એવી મારી પ્રતીતિ છે.
એટલે દુર્ભાગ્યના દિવસો આવે તોપણ શું ?
હું એમનાથી નથી ડરતો, એમને જોઈને નથી રડતો !
એ પસાર થઈ જશે અને
જીવનમાં પ્રકાશનાં પાવન કિરણો પથરાશે એની મને ખાતરી છે.
અંધકાર નહિ પણ પ્રકાશ જ,
દુઃખ કે દર્દ નહિ પરંતુ સુખ ને શાંતિ જ સ્વાભાવિક છે, શાશ્વત છે.
- શ્રી યોગેશ્વરજી