હે પ્રિયતમ ! જે દિવસે મારી આંખ તારું દર્શન ના કરે,
તે દિવસે એ આંખને ભલે તું છેદી નાંખજે.
ને મારા પ્રાણ ! જે દિવસે મારું હૃદય તને મૂકી દઈને
જગતની ક્ષુલ્લક માયાને સ્થાન આપે,
તે દિવસે એ હૃદયને ભલે રગદોળી નાખજે.
હે પ્રિય ! જે દિવસે કાન તારું સુમધુર સંગીત સાંભળવાનું છોડી દે,
તે દિવસે તે કાનને તું ભલે છેદી નાખજે.
ને હે મારા પ્રેમ ! જે દિવસે મારું શરીર
તારી સેવા ને પૂજાના માર્ગને મૂકી દે,
તે દિવસે એ શરીરને તું શાન્ત કરી દેજે.
તારું દર્શન ના કરી શકતી હોય એવી આંખ હોય તો
હે પ્રભુ ! એ જ સારું છે કે તે અંધ થઈ જાય.
તારું નામ ને તારું ગાન ના સાંભળી શકતા હોય એવા કાન હોય તો,
હે વ્હાલા ! એ જ સારું છે કે, તેનો હ્રાસ થઈ જાય.
તારી જ સુવાસમાં મસ્ત ન રહેતું હોય એવું અંતર હોય તો,
હે મારા પ્રાણ ! એ જ બહેતર છે કે એનો નાશ થઈ જાય.
ને મારા અંગેઅંગમાં તારી પવિત્ર મૂર્તિ ના હોય તો,
પ્રભુ ! એ અંગ પણ ભલે ભસ્મીભૂત થઈ જાય.
તારા દિવ્ય રસનું પાન મને પ્રત્યેક પળે કરવા દે.
તારા જ સંગીતમાં મને મસ્ત બનવા દે.
હે દયામય ! તારાથી અલગ ના થાઉં,
એવો આશીર્વાદ મને કાયમને માટે આપી દે.
- શ્રી યોગેશ્વરજી