તારું સ્વર્ગીય સુખદ સંગીત સાંભળવા ઈચ્છનારે તો
આવવું જોઈએ મારા ઊંડા ઊંડા અનેરા અંતરમાં;
ત્યાં તારી સુંદર સિતારના સુમધુર સ્વર છૂટી રહ્યા છે.
ને તારું દર્શન-દેવદુર્લભ દર્શન-કરવા ચાહનારે
ઊતરવું જોઈએ મારા અસ્ખલિત આંસુપ્રવાહમાં;
તેમાં તું તારા વદનકમળને રાતદિન ધોઈ રહ્યો છે.
આ જ તારું વિશ્રામસ્થળ છે
ને આ જ તારું સિંહાસન - મારું અંતરઆસન.
એના જેવી શાંતિ તને વૈકુંઠના અલૌકિક આસન પર
અથવા ક્ષીરસાગરની શેષશય્યા પર પણ નથી મળતી.
એ શાંતિનું મૂળ સંગ્રહસ્થાન - મારું અંતર - એ જ તારું આસન છે.
હું તને ક્યાંય જવા કે આવવા કહેતો નથી;
કેમ કે હું તારા પ્રેમની સાથે એકાકાર છું.
પણ તારી દશા એક અલિના જેવી છે.
મારા હૃદયકમળમાં સમાયેલી સ્નેહસુધાનો સ્વાદ
તને ત્રિભુવનમાં ને ત્રિકાળમાં ક્યાંયે મળ્યો નથી.
ને તેથી જ તું ત્યાંથી ખસી શકતો નથી.
કેવી છે આ પ્રેમની લીલા !
મારી પાસે મારું એવું કશું જ નથી રહ્યું.
પહેલાં હું પ્રેમનો હતો; પછી પ્રેમ મારો થયો. હવે ફક્ત પ્રેમ જ છે.
ને તે પ્રેમપ્યાલીને બંને હોઠે દબાવીને,
છાતી સાથે લગાવીને, હરેક ક્ષણે તું મસ્તીમાં મળી રહ્યો છે !
આ અમર પાન વિના સૃષ્ટિના સ્વામિત્વને તું શી રીતે સંભાળી શકત ?
ને તેના વિના તું પ્રભુ પણ રહી શકત ?
પરમેશ્વર થઈ શકત ?
- શ્રી યોગેશ્વરજી