હું તને જ્ઞાની નહિ કહું.
તારા મુખ પર વિષાદ છે; હું તને જ્ઞાની નહિ કહું.
ઊગતી ઉષાના આહલાદક લાવણ્યની જેમ
તારું મન સ્મિતની રસરેખાથી શોભતું નથી;
હું તને જ્ઞાની નહિ કહું.
સંસારમાં શોક છે, ને શોક કરીને તેમાં તું વધારો કરે છે;
હું તને પંડિત નહિ કહું.
આનંદનો અખંડ અનુભવ તારે મન એક અજાયબી છે.
વસ્તુવસ્તુમાં વહેતી આ ચૈતન્યની ધારા.....
એમાં સ્નાન કરવાની તને સમજ નથી;
એનું પાન કરીને તું પ્રસન્ન નથી;
એના આચમનનો તારામાં આહલાદ નથી;
હું તને તત્વજ્ઞાની નહિ કહું.
એકતાના અનુભવની પ્રસન્નતા ને કૃતકૃત્યતા તારામાં દેખાતી નથી.
હું તને જ્ઞાની નહિ કહું.
સ્નેહાળ શિશુની જેમ સરળ બનીને ક્ષણેક્ષણનો ઉલ્લાસ લેતો નથી;
જીવનના ને જગતના આ મહોત્સવનો લહાવો લેતો નથી ને દેતો નથી.
હું તને જ્ઞાની નહિ કહું.
તારા મુખ પર ભય છે, ભેદ છે, વિષાદ છે;
હું તને જ્ઞાની નહિ કહું !
- શ્રી યોગેશ્વરજી