જીવનના અરુણોદયથી જ
તું મારી આગળ માતા બનીને આવે છે
ને મને સ્નેહસુધાનું પાન કરાવે છે,
પણ હું તને સમજતો નથી.
ત્યાર પછી પણ તું પધારે છે;
મિત્રો ને સ્નેહીઓમાં,
ને છેવટે પેલી સૌંદર્યની પ્રતિમાશી પત્નીમાં પણ
તું તારા પ્રેમનો પરિચય આપતો પધારે છે;
પણ હું તને સમજતો નથી.
પ્રકૃતિના પરમ શણગાર સજીને
તું મારી સાથે એક થવા આવે છે;
પણ હું તને સમજી શકતો નથી.
ને છેવટે જીવનના સાયંકાલમાં,
બધાથી નિરાશ થઈને,
સુખની એકમાત્ર આશાથી
હું તારી પાછળ પડું છું ત્યારે ....
ને જયારે હું એમ કહું છું
કે હું તને પ્રેમ કરું છું
ત્યારે, તારી સનાતન અસ્ખલિત પ્રેમમાગણીનો
હું કેવો ઉપહાસ કરું છું !
- શ્રી યોગેશ્વરજી