પદ્મની પાંખડી પેઠે પ્રસન્નપણે પ્રકટતા પ્રભાતના પ્રથમ પ્રહરમાં જો;
મારી આંખમાં તારા અનુરાગનું અમૃત ના દેખાય,
તો તું ભલે ના આવીશ !
બળુંબળું થતા ને બીજાને બાળતા બિહામણા બપોરે જો;
મારા અંગેઅંગમાં તારી આરાધનાનો આભાસ ના દેખાય,
તો તું ભલે દર્શન ના દઈશ !
સ્વર્ગમાં જવા સારુ સાજ સજીને તૈયાર થયેલી સોહામણી સંધ્યાએ જો;
મારા જરી જેટલા ઝરણ જેવા વહી રહેલા જીવનમાં
તારી ઝંખના ના જણાય,
તો તું ભલે ના આવીશ!
રોમેરોમમાં રાગરાગિણી ભરીને ઊભેલી રસરાજ્ઞી રસીલી રાતે જો;
મારી આંખમાં તારાં આંસુ ને તારે માટેની આતુરતા ના દેખાય,
તો તું ભલે દર્શન ના દઈશ !
મંગળમય મહાકાવ્યના જેવી મધુરી મધરાતે જો;
મારી પુલકિત પાંપણ પર તારું પીયૂષ ના પરખાય,
તો તું ભલે ના આવીશ !
કોઈ પણ કાળે ને સ્થાને જો;
મારા હૃદય ને રોમેરોમમાં તારો રણકાર ના સંભળાય,
રાસ ના નીરખાય,
તો તું ભલે ના આવીશ !
- શ્રી યોગેશ્વરજી