આકાશના આ ટમકતા તારા બરાબર જાણે છે,
તારે માટે મારા હૃદયના કેટકેટલા ટુકડા થાય છે;
ને આ મૂક ને ધ્યાનસ્થ ધરતીના ધ્યાનમાં છે,
કેટકેટલી અશ્રુધારાથી એનું અંતર અર્ચિત થાય છે !
મારે તો આ હેતથી હસનાર,
ભાવથી ભરેલા, સૂના હૈયાને લઈને જ ફરવાનું છે.
ને તેના જ પ્રતિધ્વનિ જેવાં મારાં આ ગાન છે.
તપોવનનો કણેકણ જાણે છે,
તારા પ્રેમના પ્રભાવથી
કેટકેટલો કરુણ ને વેદનામય છતાંયે પ્રસન્ન મારો પ્રાણ છે !
ખેર, કો'કના દાહમાંથી કો'કને જીવન જડે,
કો'કના વિષમાંથી કો'કને અમૃત મળે,
ને કોઈનાં આંસુમાંથીયે કોઈને આનંદ મળે;
એનું ભાગ્ય પણ અપાર છે.
પણ ઓ પ્રેમના પીનાર પરમાત્મા !
જરીક યાદ તો કરજે,
આ અમૃતસ્વરની અંદર અંતરને અમીમય કરવાનો પ્રભાવ છે;
આ આનંદની અંદર કરુણાનો પ્રશાંત પ્રવાહ છે.
- શ્રી યોગેશ્વરજી