મારું સૌભાગ્ય ગયું જાગી રે તારા શરણમાં.
રવિકિરણ એક મધુ છૂટ્યું,
પદ્મતણું દિલડું તૂટ્યું,
જીવનધન એનું લૂંટ્યું રે...તારા શરણમાં...
સરિતા સૂની શી વહેતી,
કામણની કથા કહેતી,
સુખસાગર સંગે લહેતી રે ....તારા શરણમાં...
આ જીવનની યાત્રામાં,
અલ્પ અધિક કે માત્રામાં,
વિશ્રામ મળ્યો મધુ છાંયામાં...તારા શરણમાં...
તેં પ્રેમપિયાલા પાયા,
એથી અંગ બધાયે નાહ્યાં,
સંગ સાર્થકતા ગીત ગાયાં રે ...તારા શરણમાં...
કિલ્મિષ જીવનનાં કાપ્યાં,
ને રૂપ અવનવાં આપ્યાં,
ચરણોને હૃદયે સ્થાપ્યાં રે...તારા શરણમાં...
એ શરણ સનાતન રહેજો,
સુખશાંતિ સદાયે દેજો,
જીવશિવનો લ્હાવો લેજો રે...તારા શરણમાં...
MP3 Audio
રચના સમયના મનોભાવો
પ્રભુના શરણમાં જીવનું સૌભાગ્ય સોળે કળાએ જાગી ઊઠે છે.
જીવનની સર્વ પ્રકારની અપૂર્ણતા પૂર્ણતામાં પરિવર્તન પામે છે. સૂના જીવનમાં સુખનો સાગર ઊછળે છે. જીવનની નાનકડી યાત્રામાં પ્રભુની છત્રછાયા મળતાં બધો જ થાક ઊતરી જાય છે. વિષયરસના પ્યાલા પીતા જીવને પ્રભુપ્રેમના પ્યાલા પીવા મળે છે ત્યારે જીવન સાર્થક બની જાય છે. પ્રભુનું એ શરણ સનાતન રહે તો જીવનમાં સદાકાળ સુખશાંતિનો અનુભવ થાય. એવી પરમશાંતિ માટે જીવને શિવનું સતત સાન્નિધ્ય પણ મળતું રહે એવી પ્રાર્થના થાય છે.
સાચા દિલથી શરણાગતિનો સ્વીકાર કરી સાધનાના પંથે ચાલીએ તો જીવનનું ભાગ્ય ઊઘડી જાય છે, જીવનનું પરમધ્યેય પણ પૂર્ણતાને પંથે પહોંચી જાય છે.
શરણનો અને પ્રભુના સાન્નિધ્યનો કેવો આનંદ હોય છે, તેનાથી જીવન કેવું રસમય બન્યું એ આ પદમાં જોવા મળશે.