કૃપા કરોને ગુરુ અમારા,
આવ્યાં અમે સૌ શરણ તમારા.
ચિત્તને જોડી ચિંતન કીધું,
સૂક્ષ્મ સ્વરૂપે સૂચન દીધું,
આશિષ માની કયુઁ પ્રયાણ,
લગાડી દીધું પ્રવાસે ધ્યાન...કૃપા કરોને...
છતાં થયું શું રસ્તામાં આવું ?
વિઘ્નનું વાદળ વચ્ચે જ આવ્યું,
તોયે ડગી ના શ્રદ્ધા અમારી,
છાયા તમારી મળી છે ન્યારી...કૃપા કરોને...
વિઘ્નોનાં વાદળ જીવનમાં આવે,
ત્યારે અશ્રદ્ધા જોજો ના ફાવે,
સંકટ ના અમને કોઈ સતાવે,
કૃપા તમારી પંથ બતાવે...કૃપા કરોને...
MP3 Audio
રચના સમયના મનોભાવો
આ પદ, એકવાર વડોદરાથી અમદાવાદ આવતાં માર્ગમાં લખાયું.
જે નિર્ણય થયો તેમાં પ્રભુના પૂર્ણ આશીર્વાદ હતા તેથી તે પ્રમાણે શરૂ થયું. છતાં માર્ગમાં વિઘ્નો ઊભાં થયાં. પ્રભુ ! શા માટે તેં આવું કયુઁ ? એવો પ્રશ્ન સ્વાભાવિક ઊઠે છે. વળી, થાય છે કે વિઘ્નો કસોટીરૂપે આવે છે એમ માની લો.
વિઘ્નોની વચ્ચે પણ મન સ્થિર જ રહ્યું. પ્રભુની છત્રછાયામાં સલામત છીએ એવી શ્રદ્ધા ટકી રહી. પ્રભુ ! એ તારી પરમકૃપા.
ભવિષ્યમાં પણ એવાં વિઘ્નોનાં વાદળાંઓ જીવનને ઘેરી વળે ત્યારે પણ અંતરમાં શ્રદ્ધાને સ્થિર રાખજે. કોઈ પણ પ્રકારના સંકટથી અમે ભાંગી ન પડીએ અને તારી કૃપાથી પ્રભુપંથના પૂર્ણપ્રકાશને પામી શકીએ એવા સતત આશીર્વાદ વરસાવ્યા કરજે. એવી કૃપાની માંગણી આ પદમાં થઈ છે.