સ્વર્ગ મેળવવાની ઈચ્છાવાળા માણસે યજ્ઞ કરવો એમ કહેવામાં આવ્યું છે. ગીતામાતા કહે છે કે યજ્ઞ કરનારને જો તેની ઈચ્છા હોય તો સ્વર્ગ મળે છે. સ્વર્ગ મૃત્યુલોક કરતાં વધારે સુખમય છે, પણ મૃત્યુલોકથી ઉત્તમ નથી. સ્વર્ગલોક તો એક જાતની ભોગભૂમિ છે. તે ભૂમિના ભોગ પૂરાં થતાં, જીવાત્માએ ફરી પાછું મૃત્યુલોકમાં આવવું પડે છે. મૃત્યુલોકમાં જો તે ઈશ્વરનું શરણ લે, અને જ્ઞાન, ભક્તિ કે યોગનો આધાર લે, તો તેને મુક્તિ મળે છે. એટલે એ રીતે જોતાં, મૃત્યુલોકનું મૂલ્ય ઘણું છે. આપણે બધા મૃત્યુલોકના માનવીઓ છીએ, પણ સ્વર્ગના દેવતા કરતાં આપણું સ્થાન જરા પણ ઊતરતું નથી. તેમના કરતાં આપણું ભાગ્ય ઘણું મોટું છે. ફક્ત તે ભાગ્યનો આપણે ઉપયોગ કરવાનો છે. આપણી અંદરની દાનવતાને દૂર કરી, સાચા માનવ થવાની કોશિશ કરવાની છે ને પછી ઈશ્વરમય જીવન જીવીને આપણે દેવતા થવાનું છે. આ બધું કરવા માટે આ મૃત્યુલોક એક સર્વોત્તમ ક્ષેત્ર છે. આ ક્ષેત્રનાં તમે જેવું બી વાવશો તેવું ઊગી નીકળશે. માટે સારું બી નાખવા સદાય તૈયાર રહો.
કેટલાક માણસો કહે છે કે આ પૃથ્વી જેવી ગંદી જગા બીજી કોઈ નથી, આપણને સ્વર્ગમાં રહેવા મળ્યું હોત તો સારું. પણ તેવા માણસોએ પોતાની ભૂલ સમજી લેવી ઘટે છે. પૃથ્વી ગંદી જ છે એમ માની લેવાનું કોઈ કારણ નથી. તળાવમાં કાદવ ને કમળ બંને છે. ચંદ્રમામાં પણ પ્રકાશ તથા કાળાશ બે સાથે વસે છે. બદરીનાથના પ્રદેશમાં એક બાજુ બરફ જેવા ઠંડા પાણીવાળી અલકનંદા નદી વહી જાય છે, પરંતુ અલકનંદાની બીજી બાજુ કિનારા પાસે જ, ઊકળતા પાણીના કુંડ છે. તેમાંથી વરાળો નીકળે છે. ઈશ્વરની લીલા કેવી અજબ છે ! કુદરત કેટલી બધી અજાયબીથી ભરેલી છે ! આપણી પૃથ્વીમાં પણ તે પ્રમાણે સારી ને નરસી બે જાતની વસ્તુઓ રહેલી છે. ભલા ને બૂરા બંનેનો તેમાં વાસ છે. ઈશ્વર ને શયતાન બંનેની તે ક્રીડાભૂમિ છે. તેનો તિરસ્કાર કરવાની જરૂર નથી. તમારે શું જોઈએ છે તે તમે પસંદ કરી લો. પછી ચિંતા કરવાની જરૂર નથી. પૃથ્વીનો તિરસ્કાર તથા સ્વર્ગની ઈર્ષ્યા કે આશા કરવાની જરૂર નથી. કેમ કે તેથી કોઈ હેતુ નહિ સરે. જે પૃથ્વી પર આપણે વસીએ છીએ, ને જેની સાથે આપણું ભાગ્ય જડાયેલું છે, તે પૃથ્વીને પ્રેમ કરવા, સુંદર કરવા, ને તેનો લાભ ઉઠાવવા, આપણે તૈયાર થવું જોઈએ. એમ કરવાથી આપણે પૃથ્વીને સ્વર્ગમય કરી શકીશું. પોતપોતાના જીવનને સુંદર બનાવવાનો જો બધા જ પ્રયાસ કરે, તો પૃથ્વી વધારે સુંદર બને એમાં શંકા નથી. પૃથ્વીમાં કેટલીક ગંદકી માણસે પોતે પોતાને હાથે ઊભી કરી છે, ને કેટલીક ગંદકી તે પોતે પોષે છે. તેને દૂર કરવાનો પ્રયાસ કરીને તે સંસારમાંથી નરકની નિશાની દૂર કરી શકે, ને સ્વર્ગનું સર્જન પણ કરી શકે. એને માટેનું જે સેવાકર્મ તે જ યજ્ઞ. આપણે એના યાજ્ઞિક બનવાનું છે.
સ્વર્ગ કોઈ ઈર્ષ્યા કરવા જેવી વસ્તુ નથી. સ્વર્ગમાં કદાચ અપ્સરા મળશે, પરંતુ પરમાત્માની પ્રાપ્તિ તો આ પૃથ્વી પર જ થઈ શકશે. પૂર્ણ જીવનની સાધના પણ આ પૃથ્વી પર જ થઈ શકશે. અને આ પંચમહાભૂતના શરીર દ્વારા જ થઈ શકશે. માટે પૃથ્વીને પ્રેમ કરો, ને સ્વર્ગનાં નકામાં સ્વપ્નાં છોડી દો. અથવા તમે જેવા સ્વર્ગની ઈચ્છા કરતા હો, તેવા સ્વર્ગની રચના આ પૃથ્વી પર જ કરવાનો પુરુષાર્થ કરો. ઈશ્વર તમને જરૂર સફળ કરશે. સ્વર્ગ ગમે તેટલું સારું હોય તો પણ શું ? તેનાં સ્વપ્નાં સેવવાથી શું વળશે ? આપણે તો પૃથ્વી પર જ રહેવાનું છે. એટલે આપણે તો પૃથ્વી સાથે જ કામ છે. જે પૃથ્વી પર જીવવાનું છે તેને આપણે પ્રેમ કરતાં શીખવું જોઈએ. જે પૃથ્વી પર શ્વાસ લેવાનો છે, તેને આપણે પૂજવી જોઈએ, જનેતાની જેમ સન્માનવી જોઈએ, ને તેને સર્વોત્તમ સમજીને હૃદયમાં સ્થાન આપવું જોઈએ.
આપણી આ પૃથ્વીને પવિત્ર, શાંતિમય ને સુખમય કરવા આપણે બનતો પ્રયાસ કરીએ. પૃથ્વી પરથી દુઃખ, દર્દ, શોષણ, ભૂખમરો તથા ત્રાસનો અંત લાવીએ. સેવા, સંપ, સ્નેહ ને સહકારના મંત્રને અપનાવીએ, ને સંસારને સ્વર્ગમય કરીએ. આપણા ને બીજા બધાના જીવનને પવિત્ર, સુખી ને સમૃદ્ધ કરવાનો પ્રયાસ કરીએ, ને તે માટે નિ:સ્વાર્થ સેવારૂપી કર્મનો યજ્ઞ કરીએ. બીજા યજ્ઞો કરનારને મર્યા પછી સ્વર્ગ મળે છે; પણ આપણે જે સ્વર્ગ મેળવવું છે તે માટે મરણ પછીના બીજા જીવનની જરૂર નથી. ઉત્તમ કર્મોનો યજ્ઞ ચાલુ કરો, એટલે આ જ જીવનમાં તમારે અને બીજાને માટે સ્વર્ગ ઉતારી શકશો એ ચોક્કસ છે. માટે ઉત્તમ વિચારોને કેળવો. સદ્દગુણોની મૂર્તિ બનો. દુર્ગુણોને ભસ્મીભૂત કરી દો. વાસના ને ખોટા વિકારોની આહુતિ આપી દો. દિલમાં જે દાનવ બેઠો છે તેને દૂર કરીને સાચા માનવની સ્થાપના કરો, ને તેને વિકસીને દેવ થવા દો. એટલે અંતરમાં સ્વર્ગ ઊતરશે, રોમેરોમમાં સ્વર્ગ ઊતરશે; ને જ્યાં જશો કે જીવશો ત્યાં સ્વર્ગ ને સ્વર્ગ જ વિલસશે. સ્વર્ગની શોધ કરવા માટે પછી ક્યાંય દૂર નહિ જવું પડે. આપણું ને બીજા બધાનું સ્વર્ગ આ ધરતી પર અને આ જ જીવન દરમિયાન નિર્મિત થશે.
- શ્રી યોગેશ્વરજી