અભયની આવશ્યકતા વિશે મેં એક ભાઈને વાત કરી કે તરત જ તે બોલી ઊઠ્યા: 'તમે પણ અભયમાં માનો છો અને અભયને જીવનમાં જરૂરી ગણો છો ?’
મેં કહ્યું : 'કેમ, એમાં નવાઈ જેવું શું લાગે છે ?’
એમણે કહ્યું : 'શાસ્ત્રોમાં તો ભયનો મહિમા બતાવવામાં આવ્યો છે. ઉપનિષદમાં કહ્યું છે કે, 'એના ભયથી સૂર્ય તપે છે, વાયુ વાય છે, પૃથ્વી, અગ્નિ ને મૃત્યુ પોતપોતાનું કામ કરે છે. વળી નરકનો ભય, જન્મમરણના ચક્રમાં ફરવાનો ભય, એવા એવા કેટલાય ભય શાસ્ત્રોમાં વર્ણવ્યા છે. છતાં તમે અભયનો મહિમા ગાઈ રહ્યા છો, એટલે નવાઈ તો લાગે જ ને !’
એમના દ્રષ્ટિબિંદુને સમજતાં વાર ન લાગી. તો પણ શાસ્ત્રોનો આધાર લઈને કહ્યું કે, વેદમાં 'મા ભીઃ’ કહીને કોઈનો પણ ભય ના રાખવાનો આદેશ આપ્યો છે. તમારા દ્રષ્ટિબિંદુ વિશે પાછળથી ચર્ચા કરીશ, પરંતુ અત્યારે તો એટલું જ કહીશ કે મહાપુરૂષો અને શાસ્ત્રોએ સૌને ભયભીત નહિ પણ નિર્ભય બનવાની જ આજ્ઞા આપી છે. પણ સોળમા અધ્યાયમાં દૈવીસંપત્તિનું વર્ણન કરતી વખતે કૃષ્ણે 'અભયં સત્વસંશુદ્ધિઃ’થી આરંભીને ભયને નહિ પરંતુ અભયને જ કેળવવાની ભલામણ કરી છે.
દૈવીસંપત્તિનું વર્ણન કરતી વખતે અભયને સૌથી પ્રથમ સ્થાન આપ્યું છે એ આકસ્મિક છે કે ઈરાદાપૂર્વક એની ચર્ચામાં ના ઊતરીએ તો પણ, એટલી વાત તો સાચી જ છે કે, અભયની આવશ્યકતા જીવનમાં ઘણી મોટી છે. ભય, કાયરતા કે ડરપોકપણાને કોઈ પસંદ નથી કરતું. અને એ હોય ત્યાં સુધી કોઈ કામ સારી રીતે નથી થઈ શકતું. આત્મોન્નતિનું અગત્યનું કામ તો નહિ જ નહિ. એટલે દુન્યવી તેમજ આત્મિક વિકાસની દ્રષ્ટિએ વધારે ને વધારે નિર્ભય બનવાની આવશ્યકતા છે.
સંસારનું નિરીક્ષણ કરીએ છીએ તો ભયનું સામ્રાજ્ય દેખાય છે. ચોરનો ભય, ડાકુનો ભય, દુર્જનોનો ભય, નિરાશા કે નિષ્ફળતાનો ભય, મૃત્યુ તથા રોગનો ભય, સાપ તથા બીજાં હિંસક પ્રાણીઓનો ભય-એવા એવા અનેક ભયો માનવને વીંટી વળ્યા છે. છતાં પણ જીવનમાં અભયને કેળવ્યા વગર છૂટકો નથી એ પણ એટલું જ સાચું છે. નિર્ભય માણસ જ સુખી બને છે, હિંમતપૂર્વક કોઈ કામ કરી શકે છે, ને આગળ વધે છે.
હવે પ્રશ્ન એ થાય છે કે ભયમાંથી મુક્તિ મેળવીને નિર્ભયતામાં પ્રતિષ્ઠિત થવાય શી રીતે ? નિર્ભય બનવા માટે માણસે સત્યના ઉપાસક બનવું જોઈએ. જે સત્યને વળગી રહે છે ને સત્યમય જીવન જીવે છે એ સદાય નિર્ભય હોય છે. એને સ્વાભાવિક રીતે જ કોઈનો ભય નથી લાગતો. બૂરા માર્ગે પગલાં ભરનારને તથા બૂરાં કર્મ કરનારને ડગલે ને પગલે ભય, ચિંતા ને શંકા સતાવે છે. એટલે જીવનને નિર્ભય કરવા માટે એ આવશ્યક છે કે માણસ સન્માર્ગગામી બની બૂરાઈનો આશ્રય ભૂલેચૂકે ના લે.
નિર્ભય થવામાં મદદરૂપ થનારી બીજી વસ્તુ ઈશ્વર પરની શ્રદ્ધાભક્તિ છે. જેની અંદર ઈશ્વરની શ્રદ્ધાભક્તિ છે તે જાણે છે કે ઈશ્વર એની રક્ષા કરવા માટે સર્વ સ્થળે અને સર્વ સંજોગોમાં તૈયાર છે. એવી પ્રતીતિને પરિણામે એને કોઈ પણ પ્રકારનો ભય નથી લાગતો. સીતાને અશોકવાટિકામાં રાખવામાં આવેલી. ત્યાં એની આજુબાજુ રાક્ષસીઓ હતી તો પણ એ નિર્ભય રહી, કારણ કે એનું મન રામમાં લાગેલું હતું. ઈશ્વરની એવી શ્રદ્ધાભક્તિથી સંપન્ન થઈને જ ઊંચી કોટિના ભક્તો તથા સાધકો હિંસક પશુઓથી ભરેલાં એકાંત સ્થાનોમાં સાધનાપરાયણ થઈને નિવાસ કરતા અને ક્યાંક ક્યાંક આજે પણ કરી રહ્યાં છે. જેને ઈશ્વરમાં શ્રદ્ધા છે તેને ભયભીત થવાનું કોઈ કારણ નથી રહેતું.
સ્વામી વિવેકાનંદે એક ઠેકાણે કહ્યું છે કે, 'જેનામાં સત્ય, નિર્ભયતા ને પવિત્રતા છે તે માણસ સંસારના ગમે તે ખૂણામાં રહેતો હોય તો પણ સલામત છે. ત્રણે ગુણોથી સંપન્ન થયેલો એક જ આત્મા ત્રિલોકને પણ વશ કરવાની શક્તિ ધરાવે છે.’
એમના શબ્દોને જરાક જુદી રીતે કહી શકીએ કે, 'જેનામાં સત્ય પ્રત્યેનો પ્રેમ તથા પવિત્રતા છે તે નિર્ભય અથવા સલામત બનીને ગમે ત્યાં રહી શકે છે.’ સત્યનો પ્રેમ અથવા આગ્રહ અને પવિત્રતા માણસને નિર્ભય બનાવે છે એ તો સાચું જ, પરંતુ એ ઉપરાંત એ પણ એટલું જ સાચું છે કે જેનામાં લૌકિક લાલચ અને પરાવલંબનનો અભાવ હોય છે એ પણ નિર્ભય બની શકે છે. જે બીજા પાસેથી કાંઈક કરાવવા, કઢાવવા કે કમાવા માગે છે અને બીજા પર નિર્ભર છે તે પોતાના વિચારોને નિર્ભયતાપૂર્વક વ્યક્ત નથી કરી શકતા. પરંતુ એથી ઊલટું જે નિષ્કામ ને નિઃસ્વાર્થભાવથી ભરપૂર છે, સ્વમાની ને સ્વાશ્રયી છે, એ કોઈનાથી પણ ડર્યા વિના, કશાથી ડગ્યા વિના, પોતાના અભિપ્રાયને છડેચોક જાહેર કરી શકે છે. જે યોગ્ય લાગે છે તે કરીને જ રહે છે. ઉપનિષદમાં જે કહ્યું છે કે એના ભયથી સૂર્ય તપે છે, વાયુ વાય છે, ને મૃત્યુ કાર્ય કરે છે, એ તો પરમાત્માના અનંત સામર્થ્યનો અને એમની સર્વોપરિતાનો પરિચય કરાવવા માટે કહેલું છે. એમાં કરાયેલો ભય, શબ્દનો પ્રયોગ ભીતિના અર્થમાં નહિ, પરંતુ શક્તિના અથવા નિયંત્રણના અર્થમાં કરવામાં આવ્યો છે. એટલે કે પરમાત્માની શક્તિથી કે પરમાત્માના નિયંત્રણને લીધે સૂર્ય તપે છે અને બીજા પદાર્થો પોતપોતાના કાર્યમાં પ્રવૃત્ત રહે છે.
કેટલાક લોકો 'ભય વિના પ્રીત નહિ’ના સિદ્ધાંતમાં માનતા હોય છે. એ સંબંધી અમારી હાઈસ્કૂલના પ્રિન્સિપાલે આપેલા એક દ્રષ્ટાંતનું હજુયે મને સ્મરણ થાય છે. એમણે કહેલું કે આફ્રિકામાં એક ઠેકાણે ત્રણ-ચાર છોકરાઓ રમી રહેલા. એમાં એક અંગ્રેજ છોકરો પણ હતો. રમતાં રમતાં કોઈ મતભેદ ઊભો થતાં અંગ્રેજ છોકરાએ આફ્રિકન છોકરાને ગાલે તમાચો મારી દીધો અને એને ગાળો દેતાં ધમકી આપવા માંડી. આફ્રિકન છોકરો આરંભમાં તો એ આકસ્મિક બનાવથી ડઘાઈ જ ગયો, પરંતુ પાછળથી તરત એણે પોતાની બધી જ હિંમત એકઠી કરીને એ અંગ્રેજ છોકરાને વળતા બે તમાચા લગાવી દીધા. અંગ્રેજ છોકરા પર એની અત્યંત અણધારી અને ભારે અસર થઈ. એણે ગાલને પંપાળતાં પોતાનો હાથ લાંબો કર્યો, પેલા આફ્રિકન છોકરાના હાથ સાથે હાથ મિલાવ્યો, ને મોંને મલકાવવાનો અભિનય કરતાં કહ્યું : 'હવે મિત્રો છીએ.’
દુનિયામાં એવું દેખાય છે પણ ખરું. જ્યાં બળ હોય છે ત્યાં સહેલાઈથી વશ થઈ જાય છે. બળવાન બીજા પર શાસન કરે છે. શિક્ષણ આપતી વખતે પણ છોકરાઓની ઉપર બળપ્રયોગ કરવાની ફિલસુફીમાં માનનારા વડીલો ને શિક્ષકો આપણે ત્યાં સારી સંખ્યામાં મળી આવે છે. પરંતુ એમણે એક વાત યાદ રાખવાની છે કે ભય કે બળપ્રયોગથી કદાચ પ્રીત થતી હોય કે થતી દેખાતી હોય તો પણ એ પ્રીત સમજપૂર્વકની, અંતરના ઉમળકાવાળી, સાચી કે સ્થાયી નથી હોતી. એ પ્રીત પરવશ થઈને થયેલી લાચારીને લીધે જાગેલી, ઉપરચોટિયા, તકલાદી તથા તકવાદી હોય છે. એ પ્રીત ક્યારે અપ્રીતમાં પરિણમે ને સંજોગો બદલાતાં શત્રુભાવે બહાર પડે એ વિશે કશું જ ચોક્કસ નથી કહી શકાતું. એટલે એવી પ્રીતના પિતા ભય કે બળપ્રયોગની તરફેણ કે હિમાયત આપણે નથી કરી શકતા.
- શ્રી યોગેશ્વરજી