ના જાણે કેટલા બધા વખતથી
પૂજાનાં પુષ્પોને લઈને ઊભો છું,
તમારા મંગલ મંદિરદ્વારે પ્રેમપૂર્વક પ્રતીક્ષા કરું છું.
ના જાણે કેટલા બધા વખતથી
ધૂપ-દીપ-નૈવેદ્ય-સેવાની સામગ્રી સાથે ઊભો છું.
તમારા વિના મારું કોઈ જ નથી.
આરાધ્યા, ઉપાસ્ય, પ્રેમાસ્પદ, પ્રાપ્તવ્ય.
તમારા વિના તન મન અંતરમાં
અણુઅણુમાં બીજું કોઈ જ નથી.
વખત વીતતો જાય છે.
લગન વધતી જાય છે.
પૂજાની ઘડીઓ ઘટતી જાય છે, ઓછી થાય છે.
વખત વીતી જાય, વ્યથારૂપ થાય તે પહેલાં
મંદિરદ્વાર ઉઘાડશો, અપનાવશો?
મધુર મુખમંડળ બતાવશો?
તમારો અનુરાગ પણ
મારાથી ઓછો નથી એ દર્શાવશો?
–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)