મંદિરોનાં નવનિર્માણ કરો
એમને અવનવાં આશીર્વાદરૂપ રૂપ ધરો,
હાલતાં ચાલતાં ખાતાં પીતાં બોલતાં
મંદિરોની માવજત કરો,
એમને પુનરુદ્ધાર ધરો.
એમના દીપક મંદ પડ્યા છે, બુઝાઈ ગયા છે,
ઘંટારવ શાંત થયા છે.
અભિષેક, આરતીની આવૃત્તિ એમાં નથી થતી.
નથી ફૂલ, ફળ, નૈવેદ્ય.
આરાધક અથવા પૂજારીનું પણ અસ્તિત્ત્વ નથી.
અંદરના દેવ તંદ્રિત છે
એની ઉપાસના કરો
એને શ્રદ્ધાભક્તિ આશા ચેતના અવનવા રૂપરંગ ધરો.
મંદિરોનાં નવનિર્માણ કરો.
–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)