માગું છું માનવ
માટીના નહીં, ભાથીશા,
જેમને નાનાં મોટાં કોઈપણ પ્રલોભનો પ્રભાવિત ના કરી શકે,
વાસના વિકારોની વિષવરાળો વીંટી ના શકે;
માનની મોહિનીથી અંધ ના બને,
ધન ધરા રમા સત્તા પદની લિપ્સા લાલાયિત ના કરે;
વાવાઝોડાં વરસતાં હોય, પવનો ફૂંકાતા હોય,
માર્ગ ના મળતા હોય, અંગાર ઝરતા હોય,
તો પણ હતપ્રભ ને નાહિંમત ના બને;
પ્રકાશને જ ભજે, સત્યને જ સજે;
કદી કોઈયે કારણે ક્યાંય
દાનવ બની જ ના શકે,
એવા માનવ માગું છું.
માગું છું માનવ.
–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)