જીવનની આ મહાયાત્રામાં
તમારો સ્નેહાળ સાથ સાંપડ્યો,
તમારી હૂંફ પામ્યો, અમીદૃષ્ટિ પામ્યો,
તમારા સુધામય સ્વરૂપની ઝાંખી કરી શક્યો,
સુખદ સ્વરોને સાંભળી શક્યો,
સુરદુર્લભ ચંદનશીતલ સ્પર્શને અનુભવ્યો
એને મારું મહાભાગ્ય માનું છું.
સાચું જીવન જાણું છું.
જીવનની આ મહોત્સવમયી મહાયાત્રામાં
તમારે લીધે આગળ વધી શક્યો,
શાંતિ પામી શક્યો.
તમારે લીધે, તમારી સહાયતાથી
જીવનને ઝંકૃત કરી શક્યો,
તમારો પ્રેમી, તમારો બનીને
તમને મારાં કરી શક્યો,
એને મારું સર્વોત્તમ સૌભાગ્ય સમજું છું,
ગૌરવ ગણું છું.
યાત્રાની સમાપ્તિ સમીપ છે.
પરંતુ આપણો જીવનપંથ હજી પૂરો નથી થયો.
એ પંથે તમે સદાને સારુ
મારી સમીપે, સાથે, શ્વાસોશ્વાસે રહેશો,
એને મારું મહાભાગ્ય ગણું છું.
–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)