સરજનહારે સૃષ્ટિ કરી
વિભિન્ન વિરોધાભાસે ભરેલી, સોમલે છલેલી;
સુખને બદલે દુઃખથી, શાંતિને બદલે અશાંતિથી રસેલી
સરજનહારે શા માટે સૃષ્ટિ કરી?
એમણે મને પૂછ્યું.
મેં એમને સામેથી પૂછ્યું,
કઈ સૃષ્ટિ?
સરજનહારે સૃષ્ટિ કરી.
માનો કે સરજનહારે સૃષ્ટિ કરી
છતાં પણ તમે શા માટે શાંતિ ના ધરી,
સરજનહારે તો કરી હોય તો કરી
પરંતુ તમારી સૃષ્ટિને તમે શા માટે એવી કરી?
જરા વિચારો તો ખરા,
એમાં કેવી વૃષ્ટિ,
એની કેવી પુષ્ટિ,
એના પ્રત્યે કેવી દૃષ્ટિ કરી,
એમાં પધારીને કેવી પ્રવૃત્તિ કરી;
કેવી કરવાની હતી ને કેવી કરી?
–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)