પ્રશ્ન : આકાશમાં રહેતા ગ્રહો માનવના જીવન પર જુદી જુદી જાતની અસરો પહોંચાડે છે એ સાચું છે?
ઉત્તર : કેમ ? એવો પ્રશ્ન શા માટે પૂછવો પડ્યો ?
પ્રશ્ન : મને એમાં શ્રધ્ધા છે માટે.
ઉત્તર : તો તો પછી એવો પ્રશ્ન પૂછવાની આવશ્યકતા જ ક્યાં રહે છે ? તમને એમાં શ્રધ્ધા છે એટલે બીજા કોઈને એના માટે ના હોય તો પણ તમારે માટે એ સાચું છે.
પ્રશ્ન : હું તો એ સંબંધી તમારો સ્પષ્ટ અભિપ્રાય માગું છું.
ઉત્તર : એ સંબંધી મારો અભિપ્રાય સ્પષ્ટ છે. એ બાબત મેં કોઈ વિશેષ ચિંતનમનન નથી કર્યુ, છતાં પણ પૃથ્વીના બધા પદાર્થો પ્રકારાંતરે એકબીજાની સાથે સંકળાયેલા હોવાથી એમની અસરો એકબીજા પર થતી હોય તો તેમાં ના માનવા જેવું કશું જ નથી.
પ્રશ્ન : એ ગ્રહોની શાંતિ કરવાની વિધિઓ બતાવવામાં આવે છે તે બરાબર હશે ?
ઉત્તર : એ કેવળ ચર્ચાનો વિષય ના હોઈ શકે. તમે એમનો અનુભવ કરી જોવા ને પછી કોઈ પ્રકારનો નિર્ણય બાંધવા સ્વતંત્ર છો. હું તો એટલું અવશ્ય કહું છું કે એવાં બધાં વર્ણનોની પાછળ એ વિષયના વિદ્વાનોનું વરસોનું ચિંતન, સંશોધન અને સ્વાનુભવનું પીઠબળ રહેલું છે. આપણને એ ના ગમે એથી જ કાંઈ એનો અનાદર કે એમની અવજ્ઞા ના કરી શકાય.
પ્રશ્ન : ગ્રહો બાબત બીજી કોઈ ખાસ સુચના છે ?
ઉત્તર : મારે આપવાની સૂચના તો એટલી જ છે કે તમારા મનના આકાશમાં, તમારી અંદર, પણ ગ્રહો રહે છે.
પ્રશ્ન : કયા ગ્રહો ?
ઉત્તર : એ ગ્રહોમાં સૌથી પ્રખર અને ખતરનાક ગ્રહ પૂર્વગ્રહ છે. બીજો ગ્રહ હઠાગ્રહ છે. ત્રીજો વિચારો ને ભાવો તથા વ્યક્તિઓની વચ્ચેનો વિગ્રહ છે. એ બધા ગ્રહોને સમજપૂર્વક શાંત કરવાની ને મન તથા ઈન્દ્રિયોનો નિગ્રહ સાધવાની આવશ્યકતા છે. એવી ગ્રહશાંતિથી જીવનનું મંગલ થઈ શકે. એની આવશ્યકતા સૌને છે.