પ્રશ્ન : મીરાં, ગૌરાંગ મહાપ્રભુ, તુકારામ તથા કબીરના દેહત્યાગ અત્યંત અદ્દભુત રીતે થયા હતા. એવી અસાધારણ કક્ષા પર કેવી રીતે પહોંચી શકાય ?
ઉત્તર : પરમાત્માની પરમકૃપાથી અને એને મેળવવામાં મદદરૂપ થનારા બને તેટલા વધારે ને વધારે ભજનથી. ભગવદ્દભજનથી ભગવાનની પરમકૃપાની પ્રાપ્તિ થતાં કશું જ અસંભવ નથી રહેતું. માનવના સઘળા મનોરથ પૂરા થાય છે. જે જે પદાર્થની ઈચ્છા હોય છે તે તે પદાર્થ ભગવાનની અમોઘ અનુકંપાથી એને મળી રહે છે. એમની અસાધારણ અનુકંપાની આગળ શું અશક્ય છે ? કશું જ નહિ.
એક બીજી વાત પણ યાદ રાખવાની છે. દેહત્યાગની વાત તો જુદી છે પરંતુ શરીર છે તે દરમિયાન શરીરધારણને સફળ અથવા સાર્થક કરવાનો પ્રયત્ન કરવાની જરૂર છે. આપણા જીવનને સુધારી, સંશુદ્ધ ને ઉદાત્ત બનવાની આવશ્યકતા છે. દેહત્યાગની નિરર્થક ચિંતા કરવા બદલે દેહમાં રહીને જીવનને ઉત્તમ કરવાની સાધનાનો આધાર લઈએ તો ઘણો લાભ થાય. એ સાધનાની ઉપેક્ષા કરવી બરાબર નથી. દેહના ધારણ દરમિયાન અસાધારણ કક્ષા પર પહોંચશો એટલે દેહના ત્યાગ વખતે એવી કક્ષાની પ્રાપ્તિ આપોઆપ થઈ રહેશે. એની ચિંતા કદાપી નહિ કરવી પડે.
પ્રશ્ન : મીરાં, ચૈતન્ય મહાપ્રભુ, તુકારામ તથા કબીર જેવાનાં શરીર અદ્રશ્ય થઈ ગયેલાં અથવા પરમાત્મામાં સમાઈ ગયેલા એ સાચું ?
ઉત્તર : તેને ખોટું માનવાનું કોઈ કારણ નથી. જે પરંપરાગત ઈતિહાસ ચાલ્યો આવે છે તે તદ્દન નિરર્થક અથવા આધાર વિનાનો તો ના જ હોઈ શકે.
પ્રશ્ન : પરંતુ જીવનનું એવું અંતિમ પરિણામ આવી શકે ખરું ?
ઉત્તર : શા માટે ના આવી શકે ? જીવનમાં કોઈને માટે કશું મુશ્કેલ હોય તો પણ અશક્ય તો નથી જ. મનુષ્યયત્ન અને ઈશ્વરકૃપાથી બધું જ બની શકે છે. જો કે જ્ઞાની, યોગી અથવા ભક્તનો દેહત્યાગ ગમે તે દશામાં થાય તેથી તેની સદ્દગતિમાં કશો ફેર નથી પડતો. તેની સદ્દગતિ તો જીવતા જ સધાઈ ચૂકી હોય છે.