સમાધિરત શાંત એ ઋષિ દધીચિ પાસે જઈ
પ્રધાન સુર સ્વર્ગના મધુરવી પ્રશસ્તિ કરી
વદ્યા : જગતમાં કર્યો પ્રખર કેર વૃત્રાસુરે
અનંત નિજશક્તિથી, જરૂર વિશ્વકલ્યાણની
તમે સમજતાં ધરો તન તમારું તો એ થકી
ઘડી પ્રખર વજ્રને અસુરનાશ તત્કાળ હો.
અમોઘ ઋષિહાડનું પ્રખર વજ્ર અંતે થયું,
થયો અસુરનો વિનાશ જગ શાંત આખું બન્યું.
પુરાણ ઋષિ એ દધીચિ પ્રકટી ફરી ભારતે
શરીરમનપ્રાણને સ્મિત થકી સમર્પી રહ્યા
અશાંત નિજ દેશકાજ પ્રિય જિંદગીયે કરી
ફના, નવલ તેજથી ત્રિભુવનો ઉજાળી ગયા;
સમાજસુખ શત્રુશા પ્રખર કૈંક વૃત્રાસુરો
હણ્યાં, યુગયુગો તણા પરમશાંતિદાતા થયા.