આવે નહીં રવિ સમસ્ત વસુંધરાના
બેસે પ્રમાદભર ત્યાં લગ લોક સર્વે ?
ઘેરા અશાંતિથરને નવ ભેદવા ને
સ્વલ્પે પ્રકાશ ધરવો જગમાં અનેરો ?
ક્લેશો કુસંપ વડવાનલ વેદનાના
પીડી રહ્યા મનુજને નવ ઠારવાને
સ્નેહાર્દ્ર સિંચન કરી રસનું રહેવું,
ના માધુરી ગરલમાં ભરવા જરાયે ?
એ જ્યોતિના પતિ ભલે પ્રકટે છતાંયે
અંધારના પડળ ત્યાં લગ ટાળવાને
સ્વલ્પે પ્રયત્ન કરવા નિજ દીપિકાથી;
ના યોગ્યતા અનિલ જોમભર્યા થવાની.
કિન્તુ પવિત્ર બનતાં લહરી હવાની
પૃથ્વી પ્રસન્ન કરવી મધુતા વહાવી.