if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મરણ વખતે ને મરણ પછી શોક ના થાય ને મન સ્વસ્થ રહે તે માટે વિવેકના દીપકને જગાવવાની જરૂર છે. બીજી જરૂરત ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાની ને ઈશ્વર જે કરે છે. તે સારું જ કરે છે એવી પાકી સમજની છે. આવી સમજવાળા વિવેકી પુરૂષો મરણથી દુઃખી થતા નથી. ભારતમાં હમણાં જ થઈ ગયેલા મહાપુરૂષ શ્રી રમણ મહર્ષિની માતાની આખરી દશા આવી ત્યારે મહર્ષિએ તેમની ખૂબ સેવા કરી. મહર્ષિ તેમની પાસે આખો દિવસ બેસી રહ્યા, તેમના શરીર પર હાથ ફેરવી રહ્યા, ને તેમના કહ્યા પ્રમાણે તેમણે પોતાની અલૌકિક શક્તિથી માતાને મુક્તિ અપાવી દીધી. પણ તે પછી શું થયું તે ખબર છે ? માતાના મૃત્યુ પછી પતાવવાની વિધિ પતાવીને તેમણે આશ્રમવાસીઓને કહ્યું કે ચાલો, હવે આપણે જમી લઈએ. આપણને કાંઈ સુતક લાગે વળગે નહિ. અને આશ્રમવાસીઓની સાથે બેસીને તેમણે ભોજન કર્યું. બધા માણસોને કદાચ આ પદ્ધતિ પસંદ ના પડે, પણ તેની પાછળ અનાસક્તિ ને મોહમુક્તિની જે ભાવના છે તે સુંદર છે, ને સૌનેય પસંદ પડશે એમાં શંકા નથી. નરસી ભગતે સ્ત્રી ને પુત્રના મૃત્યુ વખતે ઈશ્વરની ઈચ્છામાં આનંદ માનીને ગાયું છે કે :

ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ !

એ પ્રમાણે ગાવાની ને સમજવાની શક્તિ સૌમાં ના હોય એ વાત સમજી શકાય તેમ છે; પણ મૃત્યુના પ્રસંગને ઈશ્વરની ઈચ્છા માની શાંતિપૂર્વક પસાર કરવાની શક્તિ તો માણસે મેળવવી જ જોઈએ. રમણ મહર્ષિ ને નરસી જેવા મહાત્માઓ કાંઈ કઠોર ના હતા. તેમનું દિલ લાગણી વિનાનું ને પથ્થરિયું ન હતું. તે તો પ્રેમની પ્રતિમા જેવા હતા. જે સારાય સંસારને ઈશ્વરનું સ્વરૂપ સમજીને પ્રેમ કરે, તે પોતાને પ્રેમ કરનાર ને મમતાની નજરે જોનાર માણસો પર ને બીજા કોઈયે જીવો પર દ્વેષભાવ કે ઘૃણા કેવી રીતે કરી શકે ? તે વસ્તુની કલ્પનામાં પણ અજ્ઞાન રહેલું છે. રમણ મહર્ષિએ માતાની સ્મૃતિ માટે આશ્રમમાં માતૃભૂતેશ્વર મંદિરની રચના કરી છે. તે તેમનો માતા પ્રત્યેનો પ્રેમ બતાવી આપે છે. એટલે માતા પ્રત્યેનો પ્રેમ તો તેમના હૃદયમાં હતો જ, પણ મોહ ન હતો. મૃત્યુનો શોક ન હતો. તેથી તેમણે નાહક વિષાદ ના કર્યો. આ વાતમાંથી ઘણું શીખવાનું છે. મહાપુરૂષોનાં જીવન જ બીજાને સારું શિક્ષારૂપ છે. સાધારણ માણસોએ પણ મૃત્યુથી પ્રભાવિત ને શોકિત ના થવાની શક્તિ કેળવવી જોઈએ.

રોવા ને કૂટવાની પ્રથા આપણે ત્યાં સર્વ-સાધારણ જેવી થઈ ગઈ છે ને માણસોને તેમાં ગૌરવ ને આનંદ લાગે છે એ વિચિત્ર છે. કેટલીક સ્ત્રીઓ તો રોવામાં ને વિવિધ રીતે છાતી કુટવામાં નિષ્ણાત જેવી કે સિદ્ધહસ્ત મનાય છે ને તેમની હાજરીમાં ઓર રંગ જામે છે એવો કેટલાકનો અનુભવ છે. મૃત્યુનાં ગંભીર ને પ્રેરણાત્મક પ્રસંગને આપણે કેવું વિચિત્ર સ્વરૂપ આપી દીધું છે તે આ બધી વાતો પરથી સહેજે જાણવા મળે છે. મૃત્યુ તો એક રીતે માણસની સેવા કરે છે, ને માણસને માટે આશીર્વાદ બનીને આવે છે સંસારમાં ડૂબેલા, ભાન ભૂલેલા ને મોહમય બનેલા માણસને તે સાવચેત કરે છે, ને શિક્ષા આપે છે કે હે માનવ, મને ભૂલતો નહિ. સંસારના રંગ જેમ આવનારા ને જનારા છે તેમ જીવન પણ આવનારું ને જનારું છે. જીવન ઘણું સુંદર છે. પણ મારો સંબંધ તેની સાથે સદાને માટે જોડાયેલો જ છે તે પણ તું જાણી લેજે. પણ મારાથી ડરીશ નહિ, હું તો તારો મિત્ર છું; નવા જીવનનું દાન કરીને તારા પર ઉપકાર કરું છું. સંસારમાં ના લપટાવવાનો તને બોધપાઠ આપું છું ને તારે અમર બનવું હોય, મારા પર વિજય મેળવી લેવો હોય, તો તેની પણ તને યાદ આપું છું. તેનો ઉપાય પણ બતાવી દઉં છું. મને મારવાનો ને મારા પર શાસન કરવાનો ઉપાય જાણવો છે ? મારા ને સારાય સંસાર પર જેનું શાસન ચાલે છે, ને આ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ ને વિનાશકતાનું જે મૂળ કારણ છે, તે પરમકૃપાળુ ને સર્વશક્તિમાન સ્વામીનું શરણ લઈ લે; પરમાત્માની પ્રાપ્તિ કરી લે. બીજો કોઈ માર્ગ નથી. મારા પર વિજય મેળવવાની બીજી કોઈ કુંચી નથી. જોને તારા ઋષિઓએ પણ કહ્યું છે કે  नान्य पंथा विद्यतेङयनाय ।  કોઈપણ સંજોગોમાં મારો શોક તો ના જ કરીશ.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.