ગીતામાતા એક બીજી વાત તરફ આપણું ધ્યાન દોરે છે. તે કહે છે કે સંન્યાસી કે યોગી કાર્ય કર્મ કરે છે. પણ કર્મફલનો આશ્રય લેતો નથી. એટલે શું ? કેટલાક માણસો એવા અર્થ કરે છે કે કર્મફલનો આશ્રય લેતો નથી એટલે કર્મફલની ઈચ્છા રાખતો નથી. પણ એ અર્થ મારી સમજ પ્રમાણે બરાબર નથી. એ વિશે આપણે આગળ વિચાર કર્યો છે. કર્મફલનો આશ્રય લેવો એટલે શું તે સમજવા એક બીજો વિચાર કરો. આપણે સાધારણ રીતે કહીએ છીએ કે એક માણસ બીજાને આશ્રય આપે છે. એટલે બીજાની સંભાળ રાખે છે, ને બીજાનું પોષણ કરે છે. આશ્રય લેનારા માણસ આશ્રય આપનાર પાસેથી મદદ ને પોષણ મેળવે છે. તે પ્રમાણે કર્મના ફલનો આશ્રય લેનાર માણસ કર્મના ફલની અસર નીચે આવે છે. કર્મના ફલનો દાસ કે ગુલામ થાય છે ને કર્મના ફલ દ્વારા પોષણ મેળવે છે. ગીતામાતા કહે છે કે આ વાત સારી નથી.
માણસે કર્મના ફલની સારી કે નરસી અસરથી મુક્ત રહેવું ને કર્મના ફલના ગુલામ ના થવું. કર્મના ફલથી પ્રભાવિત ના થવું. કર્મના ફલ દ્વારા પોતે જ પોષણ ના મેળવવું, પણ વધારેમાં વધારે જીવોના હિતને માટે તેનો ઉપયોગ કરવો. કર્મનું ફલ ગમે તેવું આવે તો પણ તેથી મદોન્મત્ત, અહંકારી કે નિરાશ થવાને બદલે છેવટ સુધી યોગ્ય કર્મ કરતા જ રહેવું. આ પ્રમાણે કમલ જેમ પાણીથી લેપાતું નથી, ને વાદળના રંગથી આકાશ રંગાતું નથી, તેમ કર્મના ફલથી લેપાયા વિના–નિર્લેપ રહીને જે કર્મ કરે છે, તે જ જ્ઞાની છે, યોગી છે, ભક્ત છે, સંન્યાસી પણ તે જ છે. છઠ્ઠા અધ્યાયની શરૂઆતમાં જ ભગવાન આપણને આ મહાન શિક્ષા આપે છે.
આટલી ચર્ચા પછી હવે તમે વિચાર કરો કે સંન્યાસી કે યોગી થવા માટે ઘરબાર છોડવાની જરૂર છે કે ? નામ ને રૂપ બદલવાની અથવા વેશપલટો કરવાની પણ જરૂર છે કે ? સંન્યાસી કે યોગી થવા માટેનાં લક્ષણોને કેળવો એટલે જ્યાં હો ત્યાં તમે સંન્યાસી કે યોગી થઈ જશો. ઘરમાં કે વનમાં ગમે ત્યાં હો, ને ગમે તે રૂપમાં હો, આ વાત ધ્યાનમાં રાખો એટલે તમે મહાન બની જશો, ને જીવનનું શ્રેય સાધી શકશો.
- શ્રી યોગેશ્વરજી