સદગુરુ શરણ વિના અજ્ઞાનતિમિર ટળશે નહિ રે,
જન્મ મરણ દેનારું બીજ ખરું બળશે નહિ રે.
પ્રેમામૃત-વચ-પાન વિના, સાચા ખોટાના ભાન વિના,
ગાંઠ હૃદયની, જ્ઞાન વિના ગળશે નહિ રે.
શાસ્ત્ર પુરાણ સદા સંભારે, તન મન ઈન્દ્રિય તત્પર વારે,
વગર વિચારે વળમાં સુખ રળશે નહિ રે.
તત્વ નથી મારા તારામાં, સુજ્ઞ સમજ નરતા સારામાં,
સેવક સુત દારામાં દિન વળશે નહિ રે.
કેશવ હરિની કરતાં સેવા પરમાનંદ બતાવે તેવા,
શોધ વિના સજ્જન એવા મળશે નહિ રે.
- કેશવ હરિ