લોહાણા બોર્ડીંગ, વડોદરા.
તા. ૧૮ ઓકટોબર, ૧૯૪૦
ભાઈ નારાયણ,
પત્ર મળ્યો. રજા દરમ્યાન જે કાર્ય કરવા વિચાર કર્યો છે તે સારો છે. શુદ્ધિની ભાવના ભૂલ્યા નથી એ જાણીને આનંદ થાય છે. ખાત્રી છે કે નહિ જ ભૂલો.
પત્ર લખ્યાને ઘણો વખત થયો. તે દરમ્યાન અમુક પ્રસંગ બન્યા છે જે લખું છું. અહીં કોલેજમાં મારાથી બે વાર બોલાયેલું; એક વાર ‘આપણી નૈતિક શિથિલતા : કોણ જવાબદાર ?’ ને બીજી વાર ‘વીર નર્મદની કવિતા’ એમ બે વિષય હતા. પ્રો. મંજુભાઈ ને પ્રો. ચતુરભાઈ બંને ખુશ થયા હતા. મારું નામ ને સ્થાન તેમણે પૂછી લીધું. વિદ્યાર્થીઓ પણ ખુશ થયેલા. તે પછીથી ગાંધી જયંતી વખતે અહીંના વિદ્યાર્થીમંડળે હરિફાઈ રાખેલી જેમાં ‘મારી દૃષ્ટિએ ગાંધીજી’ એ વિષય પર હું બોલ્યો હતો. તેમાં પ્રથમ ઈનામ મળ્યું છે તથા તે જ મંડળ તરફથી યોજાયેલી પાદપૂર્તિ ની હરિફાઈમાં પણ ઈનામ મળ્યું છે. પંદર રૂપિયાનાં પુસ્તકો વિલ્સન કોલેજમાંથી મને મળી ગયાં છે જે મેં વાંચી લીધા છે. પુસ્તક બાર છે.
તે ઉપરાંત એક બીજી વાત, અહીં એક યોગાશ્રમ છે. ત્યાં હું જાઉં છું ને ધ્યાનયોગ (રાજયોગ) શીખું છું. જ્ઞાનયોગ ને ભક્તિયોગ પછી આ યોગમાં અજબ રસ આવે છે. રામકૃષ્ણ પરમહંસે એ ત્રણે યોગો સાધ્ય કરેલા. સ્વામીજીનો પ્રેમ સારો છે. મારી ધારણા પ્રમાણે સાક્ષાત્કાર નહિ કર્યો હોય પરંતુ કાંઈ નહીં. મારું ધ્યાન તો ચાલુ જ છે. એકલા હઠયોગ કે રાજયોગથી જીવન ઉચ્ચ નથી થતું એ મારી સમજ છે; હૃદયની શુદ્ધિની ને તાલાવેલીની એટલે ભક્તિયોગની પણ જરૂર છે.
સફળતાઓ મળે છે, માન મળે છે, વાહવાહ થાય છે, પણ મારે મન તેની કીંમત નથી. મારા મનને એ પવન પલટાવી શકે તેમ નથી. એ સફળતા તો 'મા'ના ચરણમાં ઢળ્યાનું અંશ જેટલું ફળમાત્ર છે.