પ્રશ્ન : આજે સામાન્ય રીતે માણસને સંસારના વિરોધાભાસી વાતાવરણ વચ્ચે વસવું પડે છે. સંસારની પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં શ્વાસ લેવા પડે છે. એને અણગમતા સંજોગોથી વીંટળાઈને ઈચ્છા કે અનિચ્છાએ પણ જીવવું પડે છે. એવી કઠોર વાસ્તવિકતામાં રહીને એ આત્મોન્તિને માર્ગે કેવી રીતે આગળ વધી શકે ? મારી પોતાની જ વાત કહું તો હું આધ્યાત્મિક વિષયો તરફ પહેલેથી જ અભિરુચિ ધરાવું છું. એ વિષયોમાં સક્રિય અને સવિશેષ રસ લઈને ઉત્તરોત્તર ઉન્નતિ કરવાની મારી અભિપ્સા પણ છે. પરંતુ જે વાતાવરણથી વીંટળાયેલો છું તે વાતાવરણમાં રહીને હું કશું જ નોંધપાત્ર નથી કરી શકતો.
ઉત્તર : સંસારના અમુક વર્ગના સાધકોની સમસ્યા એવી જ છે. એને તમે તમારા વક્તવ્યમાં વાચા આપી છે, છતાં પણ હું એક વાત તરફ ખાસ અંગુલીનિર્દેશ કરીશ કે તમારી આધ્યાત્મિક અભિરુચિને પોષવા માટે તમારે શક્ય એટલો વધારે કે ઓછો પ્રયાસ કરવો જ જોઈશે. વધારે ભાગના માણસોને વિરોધી વાતાવરણમાં વસવું પડે છે એ સાચું છે છતાં એ પણ એટલું જ સાચું છે કે એ વાતાવરણમાં રહીને પણ રસ્તો કરી શકાય છે, અને કરવો જોઈએ. જીવનની આધ્યાત્મિક ઉન્નતિનાં મહત્વનાં શિખરોને સર કરનાર મહાપુરૂષોનાં જીવનનું નિરીક્ષણ કરશો તો જણાશે કે એમનો માર્ગ પહેલેથી સાફ નહોતો અને એમને વિરોધી વાતાવરણમાં જ વસવું પડ્યું હતું. એ વાતાવરણથી ડર્યા, ડગ્યા, કે નાહિંમત બન્યા વગર એમાંથી જ માર્ગ કરીને એ આગળ વધ્યા હતા.
પ્રહલાદ, નરસિંહ મહેતા, મીરાંબાઈ, દયાનંદ અને વિવેકાનંદનાં જીવન બીજુ શું બતાવે છે ? એટલે વાતાવરણનો વિચાર કરીને કાંઈ બેસી ના રહેવાય. તમે નથી જાણતા કે વાતાવરણ ગમે તેટલું પ્રબળ હોય તો પણ તમારી ઈચ્છાશક્તિ, તમારો અદમ્ય ઉત્સાહ, તમારી અખૂટ હિંમત, અને તમારૂં આત્મબળ વધારે પ્રબળ છે ? એ આત્મબળને ઓળખી લો તથા વિકસાવો, તો તમારું કામ સહેલું થઈ જશે.
પ્રશ્ન : પરંતુ એને વિકસાવવું કેવી રીતે ?
ઉત્તર : તમારામાં આધ્યાત્મિક વિકાસ માટેની સાચી અભિપ્સા કે લગની હશે તો એનો વિકાસ આપોઆપ થતો રહેશે. મારી સૂચના એટલી જ છે કે વાતાવરણને તમે કદી પણ વધારે પડતું મહત્વ ન આપી દેતા. સર્વત્રકાળે અનુકૂળ વાતાવરણ તો કોઈક બડભાગીને જ મળવાનું. એટલે એમાંથી માર્ગ કાઢવાનો વિકલ્પ જ બાકી રહે છે. વાતાવરણને બને તેટલું સુધારવાનો પ્રયાસ કરી શકાય છે. એની સાથે સાથે, આત્મબળને વિકસાવવા માટે, અનુભવી મહાપુરૂષોનો સમાગમ કરવો જોઈએ. એથી અદ્ ભૂત લાભ થઈ રહે છે. એવા પુરૂષોનો સમાગમ સુલભ ના હોય તો પ્રકાશ અને પ્રેરણા પૂરા પાડનારા સદ્ ગ્રંથોનું વાચનમનન કરવું જોઈએ. એ ઉપરાંત, રોજ નિયમિત રીતે એક કલાક કે ઓછામાં ઓછો અર્ધો કલાક પ્રાર્થના, જપ કે ધ્યાન જેવી વ્યક્તિગત સાધનામાં ગાળવો જોઈએ. અર્ધા કલાક કે કલાક લગી થતી નિયમિત સાધના, લાંબા વખતે તમારી અંદર શુભ સંસ્કારોનો એવો સ્થિર અને પ્રબળ પ્રવાહ પેદા કરશે જેની સાત્વિક અસર તમને જણાયા વિના રહેશે નહિ. એ સંસ્કારો જ તમને આગળ વધવામાં મદદરૂપ થશે.
પ્રશ્ન : ત્યારે સંસારમાં રહીને આત્મિક ઉન્નતિ શક્ય છે ખરી ?
ઉત્તર : જરૂર શક્ય છે. એમાં શંકાને સ્થાન જ નથી. જેમને ઉન્નતિ કરવી છે તેમને કોઈ જ રોકી શકે તેમ નથી. ફક્ત તેમણે સતત સાવધ કે જાગ્રત રહીને પુરૂષાર્થ કરવો જોઈએ. આજ લગી એવી રીતે પુરૂષાર્થ કરીને કેટલાય સાધકો સિદ્ધિ પ્રાપ્તિ કરી ગયા છે. તમે પણ જો નિશ્ચય કરશો તો કેમ નહિ કરી શકો ?