રાંકા અને બાંકાનું નામ તો સાંભળ્યું જ હશે.
રાંકાની પત્નીનું નામ બાંકા.
બન્ને ભગવાનના અનન્ય ભક્ત. શ્રદ્ધાભક્તિથી સંપન્ન ને વિશ્વાસુ.
બન્ને આદર્શ ગૃહસ્થાશ્રમી તરીકે જીવન ગાળે.
સાથે મળીને ભક્તિ કરે, જંગલમાંથી લાકડાં કાપીને વેચે, અને એવી રીતે પોતાની આજીવિકા ચલાવે.
બન્નેને એકમેક પ્રત્યે પ્રેમ પણ ઘણો.
પ્રામાણિક, પવિત્ર ને નીતિમાન પણ એવાં કે, લાકડાં કાપીને જે મેળવે તે સિવાયનું બીજું બધું જ એમને મન માટી બરાબર.
એકવાર ભગવાને જાણે કે એમની કસોટી કરવાનો વિચાર કર્યો.
જંગલમાં લાકડાં કાપીને રાંકા અને બાંકા બંને પાછાં આવતાં હતાં ત્યારે રાંકાની નજર અચાનક રસ્તા પર પડેલી સોનામહોરોની થેલી પર પડી. એને થયું કે બાંકાની નજર આ સોનામહોરો પર પડશે તો એને લાલચ થશે, માટે એ હજી જરા પાછળ છે ત્યાં સુધી સોનામહોરોને ઢાંકી દઉં.
એવા વિચારથી પ્રેરાઈને એણે સોનામહોરોની થેલી ધૂળથી ઢાંકી દીધી.
પરંતુ બાંકા એ જોઈ ગઈ, એટલે તરત બોલી: ’નીચે નમીને શું કર્યું ?’
રાંકાએ ન છુટકે બધો ખુલાસો કર્યો.
બાંકાએ નિરાશ થઈને કહેવા માંડ્યું હું તો એમ માનતી હતી કે તમારું જ્ઞાન ઉત્તમ હશે અને તમારો અભેદભાવ પણ ઉચ્ચોચ્ચ કક્ષાએ પહોંચેલો હશે, પરંતુ હજુ તો તમારામાં આ સોનું છે અને માટી છે એવો ભેદભાવ છે માટે તો તમે સોનામહોરોને માટીથી ઢાંકી દીધી. હું તો સોનાને માટી બરાબર જ માનું છું પછી તેને માટીથી ઢાંકવાનું રહે છે જ ક્યાં ?
રાંકાને બાંકાની મહાનતા જોઈને એને માટે માનની લાગણી થઈ. બાંકાને માટે સોનામહોરો પરધન હોવાથી માટી બરાબર હતી. એવી રીતે સૌ કોઈ પરસેવાના પ્રમાણિક પૈસાને જ સોના બરાબર સમજે અને હક્ક વગરના બધા જ પરધનને માટી બરાબર માનવાની સમજ કેળવે તો ? સંસારનું સ્વરૂપ કેટલું બધું ફરી જાય, સુખદ બને અને આદર્શ થાય ?
- શ્રી યોગેશ્વરજી