આપણું અવતરણ આ અવનીને વધારે ને વધારે અમૃતમય કરવા ને પ્રેમ પ્રકાશથી ભરવા માટે થયું છે. બીજાને સુખી કરવા ને રસમય બનાવવા માટે થયું છે : એનું હમેશાં ધ્યાન રહે ને જીવન તેના અમલ માટે સક્રિય કામ કર્યા કરે. હે કૃપાળુ, સક્રિય કામ કર્યા કરે !
આપણું અવતરણ આ અવનીને મધુરતાની મોહિનીથી ભરી દેવા ને જડતાને દૂર કરીને ચેતનમય કરવા માટે છે. સંકટને દૂર કરવા ને બંધનને બદલે મુક્તિનું દાન દેવા માટે છે : એનું હમેશાં ધ્યાન રહે ને જીવન તેના અમલ માટે સક્રિય કામ કર્યા કરે. હે અંતર્યામી, સક્રિય કામ કર્યા કરે !
આ અવનીમાં આપણું અવતરણ સ્વયં પૂર્ણ થઈને બીજાને પૂરણ કરવા ને પોતે તરીને બીજાને તરવાનો માર્ગ બતાવવા માટે થયું છે : એનું હમેશા ધ્યાન રહે ને જીવન તેના અમલ માટે સક્રિય કામ કર્યા કરે. હે પ્રેમના સાગર, સક્રિય કામ કર્યા કરે !
- શ્રી યોગેશ્વરજી