પાસે પાસે રહેતા બે શ્રીમંતોના મહેલમાં એક જ જાતના બે ચિત્રો હતાં, ને તે બંને વચ્ચે મિત્રતા હતી. બંને શ્રીમંતોના મહેલની દિવાલ પર એક જ જાતનાં ચિતાનાં બે ચિત્રો હતાં.
પહેલાંના મહેલમાં પ્રવેશેલા એક પ્રવાસીએ તેનું કારણ પૂછ્યું તો તેણે કહેવા માંડ્યું: ‘વિનાશની ચિતા આવી રીતે સળગી રહી છે, ચરાચરમાં સળગી રહી છે, ને તેમાં બધું જ ભસ્મીભૂત થવાનું છે: આ તન, મન, ભવન, બધું જ. એ વાતની યાદી માટે આ ચિત્ર છે. તે મને અહંકાર, અનર્થ ને આસક્તિથી દૂર રાખે છે.’
તે જ પ્રવાસી કોઈ કારણથી એક વાર પેલા બીજા મહેલમાં જઈ ચડ્યો. તેમાં રહેનાર શ્રીમંતે તેના પ્રશ્નના જવાબમાં તે જ ચિત્રને હાથમાં લઈને કહેવા માંડ્યું: ‘વિનાશની ચિતા આ જ રીતે સળગી રહી છે. ચરાચરમાં સળગી રહી છે, ને તેમાં અંતે બધું જ ભસ્મીભૂત થઈ જવાનું છે. માટે જીવનનો જે લગીર જેટલો પણ સમય મળ્યો છે, તેમાં લહેર કરી લો, બને તેટલો ભોગ ભોગવી લો, ને કોઈનો પણ ડર રાખ્યા વિના લહેર કરી લો, એવી પ્રેરણા મને આ ચિત્રમાંથી મળી રહી છે. માટે તે મને પ્રિય છે, ને તેને મેં મારા વિશાળ દિવાનખાનાની વચ્ચે જ રાખ્યું છે.’
- શ્રી યોગેશ્વરજી