તમારી પાછળ ફકીરી લઈને કેટલાંય વરસોથી હું એકાંત વનમાં વસવાટ કરું છું, ને કેટલાંય વખતથી તમારે માટે સંગીતની પ્યાલીમાં પ્રેમનું પીયૂષ ભર્યે જાઉં છું.
મારામાં પ્રેમ નથી, ભક્તિભાવ નથી, ને જ્ઞાન નથી, તે હું જાણું છું. બીજી લાયકાત પણ મારામાં નહીં જેવી છે છતાં તમારા મધુર મિલનની આશા રાખીને હું વરસોથી બેસી રહ્યો છું, ને દિલની દિલરુબા પર તમારી સ્મૃતિને સજ્યા કરું છું. તમે પડદો દૂર કરી દો જેથી આપણી આંખો એક થઈ શકે.
લાયકાતની મને ચિંતા નથી. કેમ કે તમારા મિલન વિના ગમે તેવી લાયકાત પણ અધૂરી છે, ને તમારા મિલનમાં ગમે તેવી લાયકાતને પેદા કરવાની તાકાત રહેલી છે.
- શ્રી યોગેશ્વરજી