અજવાળી રાતે મંદિરમાં એક સુંદર ગાયિકાએ પ્રવેશ કર્યો, ને દેવતાની પાસે બેસી હાથમાં વીણા લઈને સંગીતમય ગીત ગાવાની શરૂઆત કરી. નજીકમાં જ મારું આસન હતું, ને માણસોની મંડળી પણ આજુબાજુ જામી હતી.
ગાયિકાનું સંગીત ઘણું સુંદર હતું, ને તેનું સૌંદર્ય પણ અનુપમ હતું. અંતરમાંથી ઉભરાતો પ્રેમ એની આંખોમાં ઠલવાતો હતો, ને તેથી જાણે તે સૌને કામણ કરતી હતી.
વારંવાર તે મારા તરફ જોતી ને મારી તલ્લીનતાથી રાજી થતી.
છેવટે તેણે સંગીત પૂરું કર્યું ને મારા ચરણમાં પ્રણામ કર્યાં. પણ મારી આંખમાં આંસુ જોઈને તેને આશ્ચર્ય થયું, ને તેણે તેનું કારણ પૂછ્યું.
મેં કહ્યું: ‘સંગીત સુંદર હતું. પ્રસંશનીય હતું. છતાં આંસુ મને એટલા માટે આવ્યા કે તારા મનમાં આખો વખત મારું સ્થાન હતું. મંદિરમાં રહીને મારે બદલે જો મંદિરના દેવતાને જ પ્રસન્ન કરવાનો તે પ્રયાસ કર્યો હોત, ને તેનામાં મન લગાડ્યું હોત તો સંગીત તારા માટે કેવળ કલા નહીં પણ સાધના બની જાત, ને તારું જીવન કૃતાર્થ થાત.’
- શ્રી યોગેશ્વરજી