પવિત્રતા ને પ્રેમમાં તમે સૌને માટે પ્રગટ થયા છો, ને સુંદરતા ને શીલમાં સદાને માટે શ્વાસ લો છો. તો પણ આશ્ચર્ય છે કે તમને મેળવવા માટે માણસ આમતેમ ફાંફા મારે છે, ને એકાંતમાં દઈને આસન વાળે છે.
સત્ય ને દયામાં તમે સ્મિત કરો છો, ને કોમળતામાં કલરવ કરીને અંતરને આનંદ આપો છો. તો પણ આશ્ચર્ય છે કે તમને મેળવવા માટે માણસ આમ તેમ ફાંફા મારે છે, ને એકાંતમાં જઈને આસન વાળે છે.
સુંદર ને અસુંદર, પવિત્ર ને અપવિત્ર, તમારું રૂપ બધે જ રમ્યા કરે છે. એવું કયું સ્થાન છે જ્યાં તમે ના હો, ને એવો કયો કાળ છે જે તમારાથી પર હો?
પ્રાર્થના એટલી જ છે કે તમારી પ્રતિમાનું દર્શન સૌમાં થઈ શકે તે માટે લોચનનું દાન દો, હે દયામય, અંતરના દૈવી લોચનનુ દાન દો!
- શ્રી યોગેશ્વરજી