દરિયાકિનારે માણસોનો મેળો ભરાયો હતો. સ્ત્રી, પુરષો ને બાળકો સુંદર પોષાકો પહેરીને ફરવા નીકળી પડ્યાં હતાં. દરિયાકિનારે જાણે મેળો ભરાયો હતો.
એક અતિશય સુંદર યુવતી પણ તેમાં ફરી રહી હતી. દરિયાના પાણીમાં ઊભી રહીને તે અંજલિ આપતી ને ગીત ગાતી.
માણસો તેના તરફ એકીટસે જોયા કરતાં. કોઈ કહેતાં કે આવી સુંદરી આ શહેરમાં ભાગ્યે જ બીજી હશે. તો કોઈ તેના કોમળ સ્વરની પ્રસંશા કરતાં.
મેળામાં એક કિશોર પણ આવ્યો હતો, તે પણ એ યુવતી તરફ તાકીને જોયા કરતો. આશ્ચર્ય એ હતું તે કે તેની આંખ ભીની હતી.
યુવતીએ તેનું કારણ પૂછ્યું તો તેણે ખુલાસો કર્યો: ‘તમારું રૂપ ખરેખર અજોડ છે. મારી જેમ બીજા કેટલાયની આંખનું એ આકર્ષણ બન્યું છે. પણ આંસુ મને એ વિચારથી આવે છે કે આ ઉત્તમ રૂપ પણ આખરે તો કરમાઈ જશે: આ સુંદરતમ શરીર પણ એક દિવસ રાખમાં મળી જશે : કાળ આના પર પણ કૃપા નહીં કરે.’
- શ્રી યોગેશ્વરજી