તું ચિંતા કેમ કરે ?
જે થાયે તે સારા માટે એવું માન ખરે ... તું.
કરુણાળુ પ્રભુ, તારા પર ના કો’દી કેર કરે,
સંકટમાં નાખે ના ભાઈ, શોકે કેમ મરે ? ... તું.
શરણ ગ્રહ્યું છે પરમાત્માનું, અશ્રુ કેમ ભરે ?
મંગલ કરશે તારું તે તો, શ્રદ્ધા કેમ ટળે ? ... તું.
સંકટમાં દર્દે એકલતા જ્યારે બંધુ, મળે;
ત્યારે પણ તે સાથી તારો, રક્ષા રોજ કરે ... તું.
ઈચ્છા મુજબ થાય સૌ એની, ‘પાગલ’ જાણ ખરે,
કોઈ કાળે ત્યાગ ન તેને, તો તો સહજ તરે ... તું.
(૨૭-૮-૧૯૫૭, મંગળવાર)
– © શ્રી યોગેશ્વરજી