if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ઘરમાં ફીટીંગ કરવામાં તો કોઈ પ્રકારની કસર નહોતી રાખી. કેટલું સરસ ફીટીંગ? અને એ પણ અત્યંત આધુનિક. દીવાલોમાંથી પસાર થતાં દોરડાં બહાર દેખાતાં જ નહિ. આખા ઘરને આલોકિત કરવા માટે જાતજાતના રંગબેરંગી બલ્બ પણ ખરીદેલા. ટ્યુબલાઈટનો પણ પાર ન હતો. અને એ છતાં પણ આશ્ચર્ય એ હતું કે વારંવાર પ્રયત્નો કર્યા છતાં પણ ઘરમાં પ્રકાશ થતો જ નહીં. બલ્બ, ટ્યુબલાઈટ, સમસ્ત ફીટીંગે જાણે કે સત્યાગ્રહ કરેલો. પરંતુ ઘરનો માલિક એમ સહેલાઈથી નિરાશ થાય એવો ન હતો. એ પણ સંપૂર્ણ સત્યાગ્રહી હતો. એણે ઈલેકટ્રીકના એક્સપર્ટને બોલાવીને તપાસ કરાવી તો જણાયું કે ઘરમાં બીજું બધું જ હતું. સરસ ફીટીંગ, સુંદર બલ્બ, મજાનું મીટર, પરંતુ મીટરનું જોડાણ પાવરહાઉસ સાથે કરવામાં નહોતું આવ્યું. એટલે પ્રકાશ ક્યાંથી પથરાય ? પાવર હાઉસ સાથે મીટરનું જોડાણ થયું એટલે પાવરહાઉસમાં પ્રાદુર્ભાવ પામતો પ્રકાશ મીટરમાં, મીટર મારફત ઈલેકટ્રિકના ફીટીંગમાં, એ દ્વારા બલ્બમાં તથા ટ્યૂબલાઈટમાં અને છેવટે સમસ્ત ઘરમાં પથરાઈ ગયો. ઘર પ્રકાશથી પરિપ્લાવિત બની ગયું.

શાંતિની સમસ્યા માટે આ વાત વિચારવા જેવી છે. આજે માણસો ફરિયાદ કરે છે કે જીવનમાં બીજું બધું છે પરંતુ શાંતિ નથી. પૂછે છે કે શું કરીએ તો શાંતિ છવાય ? આપણે એમને કહીએ છીએ કે તમારા જીવનનું જોડાણ બરાબર નથી થયું માટે જ જીવનમાં અંધકાર છે, અશાંતિ છે, અસંતોષ છે અને નીરસતા છે. જીવનને શાંતિમય કરવા માટે શાંતિસ્વરૂપ પરમાત્મા સાથે સંબંધ બાંધવો પડશે. વૃત્તિના વાયરને ઠીક કરી, મનના મીટર સાથે જોડી દઈ, એનો સંબંધ પરમાત્માના પાવરહાઉસ સાથે કરવાનો રહેશે. પછી સમસ્ત જીવન તન, મન, અંતર બધું જ પરમ પ્રસન્ન, પુલકિત, પ્રકાશિત અને પાવન બનશે. એ સિવાય શાંતિનો બીજો કોઈ અમોઘ અકસીર માર્ગ નથી.

આપણી પાસે ટ્રાન્ઝિસ્ટર હોય પરંતુ સુચારુ અવસ્થામાં ના હોય તો એની દ્વારા સુમધુર સંગીતનું શ્રવણ કરી શકાય ખરું ? ટ્રાન્ઝિસ્ટરમાં સેલ બરાબર ના હોય, અને એ સંગીતના સ્વરની દિશા પ્રત્યે અભિમુખ ના થયું હોય તો પણ સંગીતનું શ્રવણ અશક્ય બને. જીવનમાં આપણે જે શાંતિનું શાશ્વત સુરીલું સંગીત સાંભળવા માંગીએ છીએ એનું પણ એવું જ સમજી લેવાનું છે. એ શાંતિ સંગીતના સ્વાનુભવ માટે આપણા હૃદયરૂપી રેડિયો બરાબર જોઈએ. એમાં શ્રદ્ધાભક્તિના સેલ હોવા જોઈએ અને પરમાત્મા પ્રત્યે એ અભિમુખ બનવા જોઈએ. પરમાત્મા સનાતન શાંતિસ્વરૂપ હોવાથી એમની સાથેનો સંપર્ક પ્રસ્થાપિત ના થાય ત્યાં સુધી કોઈને પણ શાંતિ ના મળી શકે એ દેખીતું જ છે. એને બદલે પરમાત્માભિમુખ અને વિષયાવિમુખ બને તો જીવન શાંતિથી સંપન્ન બની શકે, અને એવી શાંતિથી સંપન્ન બને જેનો કદી, કોઈયે પરિસ્થિતિમાં, કોઈયે કારણે હ્રાસ કે નાશ ના થાય. ગીતામાં કહેવામાં આવ્યું છે- ઈશ્વર સર્વભૂતાનાં ।

ઈશ્વર સૌના હૃદયપ્રદેશમાં વિરાજમાન છે. એમનું શરણ લેવાથી અથવા એમનો સંપર્ક સાધવાથી પરમ શાંતિની સંપ્રાપ્તિ સહજ બને છે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.