if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દેવભૂમિથી પણ અધિક મહિમાવાળી ભારતવર્ષની ઋષિમુનિ સેવિત તપોભૂમિમાં અતીત કાળથી માંડીને અદ્યતન કાળપર્યંત જુદાજુદા અનેક અલૌકિક સંતો, મહાત્માઓ, યોગીઓ અને તપસ્વીઓ જન્મીને પોતાના લોકાત્તર જીવન દ્વારા પ્રેરણા તથા પ્રકાશ પાથરીને, અસંખ્ય આત્માઓને પથપ્રદર્શન પહોંચાડીને, જ્યોતિર્ધર તરીકેનું કલ્યાણકાર્ય કર્યું છે. શ્રી યોગેશ્વરજીએ જયોતિર્ધરોની એ પ્રાણવાન પરંપરાને વધારે પ્રકાશવંતી કરી છે તથા પ્રાણવાન બનાવી છે. એમની આત્મકથાનું અવલોકન કે અધ્યયન કરનારા આત્માઓ એ સત્યને પ્રથમ દૃષ્ટિએ સહેલાઇથી સમજી શકશે.

શ્રી યોગેશ્વરજીના જ્યોતિર્મય જીવનનો હું વરસોથી સાક્ષી રહ્યો છું. મેં ગુજરાતની પુણ્યભૂમિના એમના સાબરમતી તટ પરના નાનકડા જન્મસ્થાનને જોયું છે, એમણે જ્યાં રહીને કઠોર તપ કરેલું તે દેવપ્રયાગના એમના એકાંત આશ્રમને જોયો છે, એમના સાધનામય જીવનનો પરિચય પ્રાપ્ત કર્યો છે, એમના ઉપવાસોને નિહાળવાનું સૌભાગ્ય પણ મેળવ્યું છે, એમની સ્થિતપ્રજ્ઞતાને પણ નિહાળી છે, અને એ બધા પરથી મારી પ્રતીતિ થઇ છે કે એ જીવનમુક્ત મહામાનવ આજના વિશ્વના એક અસાધારણ મહામાનવ છે. મેં મારા જીવન દરમ્યાન કેટલાય સંતો, તપસ્વીઓ, યોગીઓને જોયા છે, પરંતુ યોગેશ્વરજી જેવા સાચા, સંપૂર્ણ, સર્વાંગીણ વિકાસવાળા મહાપુરુષને નથી જોયા. યોગેશ્વરજી સૌમાં જુદા જ તરી આવે છે. એમનું જીવન ભારતીય સાધના, તત્વજ્ઞાન અને સંસ્કૃતિના અલૌકિક અનુવાદરૂપ છે.

એમની વિસ્તૃત રીતે આલેખાયેલી આત્મકથામાં એમણે છેક જ સીધીસાદી સરળ નિરાડંબર સત્યનિષ્ઠ ભાષામાં પોતાની જીવનસાધનાની અને વિવિધરંગી સિદ્ધિઓની કથા કહી છે. એ કથા કેટલી બધી રોચક, પ્રેરક અને પથપ્રદર્શક છે એ તો એનું અધ્યયન કરવાથી જ સમજી શકાશે. એને વાંચ્યા-વિચાર્યા પછી હું તો એટલું જ કહું છું, કહ્યા સિવાય રહી શકતો નથી, કે જે માતાપિતાએ એમના આવિર્ભાવમાં અજ્ઞાત રીતે પણ ભાગ ભજવ્યો છે તેમને ધન્ય છે. એમને પ્રકટાવનારું કુળ અને એમની ક્રીડાસ્થળી થનારી ભૂમિ ધન્ય છે, અને એમની પવિત્ર પદરજને ધારણ કરનારી ધરતી પણ ધન્ય છે. એમના જેવા મહાપુરુષનું દર્શન યુગો પછી કોઇવાર થઇ શકે છે તથા યુગો સુધી પ્રેરણા પ્રદાન કરનારું થઇ પડે છે.

યોગેશ્વરજીએ સાધનાના જટિલ જીવનપંથને ઇશ્વર પર શ્રદ્ધા રાખીને, ઇશ્વરરૂપી પરમ કરુણામયી માતાનો આશ્રય લઇને, એની આંગળી પકડીને, એકલે હાથે જ ખેડવા માંડ્યો ને પૂરો કર્યો છે. એ સતત સાવધ, જાગ્રત, આત્મનિરીક્ષણયુક્ત રહ્યા છે, નાના-મોટાં પ્રલોભનોમાં પડ્યા નથી. નાના સરખા ગામમાં જન્મીને અભ્યાસાર્થે મુંબઇ ગયા. ત્યાંના નિવાસ દરમ્યાન આધ્યાત્મિક માર્ગે આગળ વધવાના સંકલ્પો અને એ સંકલ્પોની સિદ્ધિના પ્રયત્નો કર્યા. પવિત્ર હિમાલયમાં વસ્યા, ભાતભાતની સાધનામાં પ્રવેશ્યા. જુદા જુદા જ્ઞાત-અજ્ઞાત સિદ્ધ પુરુષો કે સંતોને મળ્યા. અલૌકિક અનુભવો પામ્યા. અને છેવટે સિદ્ધિના સર્વોચ્ચ શિખર પર પહોંચીને શાંતિમય બન્યા. એ બધું ભગીરથ કાર્ય એમણે સતત લગન, ધીરજ, હિંમત, ત્યાગ, શ્રદ્ધા તથા સમર્પણભાવથી પૂરું કર્યુ. બીજા સાધારણ, અથવા અસાધારણ સાધકો એમના જીવનમાંથી ઘણું ઘણું શીખી શકશે. સાધનાને નામે પેદા થતી ભ્રાંતિઓને ને કપોલકલ્પિત માન્યતાઓને દૂર કરીને સાધનામય જીવનનો સાચો પ્રકાશ પામી શકશે. છેવટે ધન્ય બનશે.

એમણે કરેલા અવારનવારના ઉપવાસો આજની પ્રજાને આશ્ચર્ય પમાડે તેવા છે. અને એમ તો એમનું આખું જીવન આશ્ચર્યકારક છે. એ ઉપવાસો એમની પરમાત્મપ્રીતિ, લગની ને નિષ્ઠાની પ્રતીતિ કરાવે છે. એમણે કેટકેટલાં કષ્ટો વેઠીને એમના ધ્યેયની સિદ્ધિ સારુ સાધના કરી છે એનો પરિચય કરાવે છે. એમની સાધના કેવળ એમને માટે જ નહોતી થઇ. એમની આત્મકથા દર્શાવે છે કે દેશ તથા દુનિયાને માટે, બીજાને સુખશાંતિ પહોંચાડવા તથા મદદરૂપ થવા માટે પણ એમણે સ્વપ્નાં સેવેલાં ને બનતા પ્રયત્નો કરેલા. દેશની સ્વતંત્રતાને માટે હિમાલયમાં રહીને એમણે વરસો સુધી પ્રાર્થનાઓ કરેલી. દેશની ઘટનાઓનું સતત ધ્યાન રાખેલું, અને હજુ હમણાં જ ઇ. સ. 1977ના માર્ચમાં થયેલા ભારતના ઐતિહાસિક નોંધપાત્ર અદભૂત પરિવર્તનમાં પણ એમણે કેવો અદૃષ્ટ છતાં ચોક્કસ અનન્ય ભાગ ભજવેલો એનો પરિચય આત્મકથાના અંતિમ પ્રકરણ 'સુવર્ણ પ્રભાત' પરથી થઇ રહે છે. દેશને માટે પ્રતિષ્ઠા કે કશાની પરવા વિના પડદા પાછળ રહીને એમણે જે પાયાનું કામ કર્યું છે તેનો દસ્તાવેજી પૂરાવો એમાં પ્રાપ્ત થાય છે, ત્યારે સમજાય છે કે એ એક મહાન રાષ્ટ્રભક્ત કે રાષ્ટ્રવિધાયક પણ છે અને એમને માટે પરમ આદરભાવ પ્રકટે છે. આપણે એવું નિશ્ચિત રીતે માનતા હતા કે ભારતની રાજ્યપરિવર્તનની છેલ્લી ઘટનાની પાછળ કોઇક દૈવી સંકેત કે દૈવી શક્તિનો હાથ છે, પરંતુ એ હાથ આવો મજબૂત હશે અને યોગેશ્વરજી જેવા મહાપુરુષ પણ એમાં નિમિત્ત બન્યા હશે તે તો એ પ્રકરણને વાંચ્યા પછી જ સમજાય છે. મારી સાથે યોગેશ્વરજીએ એ વિશે વારંવાર વાતો કરેલી ને કહેલું કે ભારતના નક્શાને ધરમૂળથી બદલવો પડશે. રાજ્યશાસન બીજાના હાથમાં મૂકવું પડશે. એને માટે હું મારાથી બનતું કરી અને પરમાત્માને પ્રાર્થી રહ્યો છું. ભારતની છેલ્લી લોકસભાની ચૂંટણી પહેલાં જ એમણે મને જણાવેલું કે આ વખતે સરકાર છેક જ બદલાઇ જશે. એ કેવા અસાધારણ આર્ષદૃષ્ટા છે તેની સમજ અમને સંપૂર્ણપણે ત્યારે જ પડેલી.

એમના પૂર્વજન્મના જ્ઞાનની વાતોને વાંચીને કેટલાક વિચારમાં પડશે. એમણે તો સત્યને વફાદાર રહીને, સ્વાનુભવના નિર્દેશ માટે જ એ વાતને રજૂ કરી છે. એમને ઇ.સ. 1944માં પૂર્વજન્મનું જ્ઞાન થયેલું, અને એ પછી વરસો સુધી એ જ્ઞાન જુદી જુદી રીતે થતું રહ્યું એનો ઇતિહાસ રોચક છે. એમના એ જ્ઞાનનો હું છેક ઇ.સ. 1944થી જ સાક્ષી છું. આજે તેત્રીસ જેટલાં વરસો પછી એ એની માહિતીને પ્રગટ કરી રહ્યા છે તો એમને એ દ્વારા કીર્તિ કમાવાની ઇચ્છા નથી જ. જો કીર્તિ કમાવવાની, ભક્તમંડળને વધારવાની કે બીજી કોઇ લૌકિક લાલસા હોત તો એ આટલાં વરસ સુધી બેસી ના રહેત, પૂર્વજન્મના જ્ઞાનની તરત જ જાહેરાત કરત. પરંતુ એ એવી લાલસા કે ઇચ્છાથી સર્વથા મુક્ત છે. હજુ હમણાં જ એમને કેટલાંક પ્રેમીજનોએ પૂર્વજન્મ વિશે પૂછેલું તો એમણે શાંતિથી જણાવેલું કે મારી આત્મકથા હવે બહાર પડવાની છે, તેમાંથી જાણી લેજો. આટલા વખત સુધી ધીરજ રાખી છે તો થોડીક વધારે રાખો. યોગેશ્વરજી કહે છે કે એ જ્ઞાન તો મને મારા પોતાના લાભ માટે મળેલું છે. બીજાને તેની સાથે એટલો સંબંધ નથી. બીજા તેને માને કે ના માને તે મહત્વનું નથી. બીજા માને તેવો મારો આગ્રહ પણ નથી. સૌ કોઇ સ્વતંત્ર છે. મેં તો મારા અનુભવનું આલેખન કર્યું છે એટલું જ. બીજાને માટે તો હું વર્તમાન જીવનમાં જે છું તે જ વધારે મહત્વનું છે. મારે પૂર્વજન્મના નામને વટાવીને યશસ્વી નથી થવું. પૂર્વજન્મના મહત્વના આધાર પર મહત્વ નથી બતાવવું. છતાં પણ મારા સ્વાનુભવોની રજૂઆત કરતી વખતે એની રજૂઆત પણ સહજ રીતે જ કરી રહ્યો છું. એમની નમ્રતા, નિખાલસતા અને સત્યનિષ્ઠા અદભૂત છે. કોઇ એમની વાતને માને કે ના માને એટલા માટે એમણે આ કથા નથી લખી. આત્મકથામાં એમણે મહાત્મા ગાંધીજીના પૂર્વજન્મ વિશે પણ પ્રકાશ પૂરો પાડ્યો છે. એ પણ અવનવો અદ્વિતીય થઇ પડે તેમ છે.

આત્મકથામાં આલેખાયેલો સાધનામય જીવનનો ઇતિહાસ રસિક, તર્કબદ્ધ, બુદ્ધિસંગત અને ઉપકારક છે. વરસો તથા યુગો સુધી એ સાધકોનું કલ્યાણ કરશે. ઇતર જનોને પણ પ્રેરણા પાશે. સંસારની સફરમાં દિવ્ય દીવાદાંડીની ગરજ સારશે. આ પ્રકારની આધ્યાત્મિક અનુભવોથી ભરેલી, જીવનવિકાસની સાંગોપાંગ સમજ પૂરી પાડતી આત્મકથા આ પહેલી છે, એવું કહેવામાં કશી અતિશયોક્તિ નથી થતી. પરમાત્માના પરમ કૃપાપાત્ર પરમ આદરણીય પરમ વંદનીય શ્રી યોગેશ્વરજીને એના આલેખન માટે જેટલા પણ અભિનંદન આપીએ એટલાં ઓછાં છે. યોગેશ્વર નામ એમને સ્વયં મા જગદંબાએ કેવી રીતે આપ્યું એનો આહલાદક વૃતાંત પણ આ કથામાં મળી આવે છે. એમની સાથે છેલ્લાં કેટલાય વરસોથી રહેતાં એમનાં માતાજીનો સમ્યક પરિચય પણ કથાના પ્રવાહ દ્વારા પ્રાપ્ત થાય છે.

ગુજરાતી ભાષા સાહિત્યના ભંડારને એમણે એમના નાના-મોટા અનેકવિધ ગ્રંથો દ્વારા આજ સુધી સમૃદ્ધ કર્યો છે. આત્મકથા દ્વારા એ એમાં એક અમર થવા અથવા સનાતન બનવા સરજાયેલા અસાધારણ ગુણવત્તાવાળા ગ્રંથરત્નનો ઉમેરો કરે છે. ગુજરાતી સાહિત્યમાં આ ગ્રંથરત્ન પોતાની આગવી વિશિષ્ટતાથી પ્રકાશી ઉઠશે. એની વિષય નિરૂપણ શૈલી, મૌલિકતા, સરસતા, એનું ભાષાપ્રભુત્વ, બધું જ અદભૂત છે. એ શિષ્ટ શ્રેષ્ઠ સાહિત્યના સર્વૌચ્ચ શિખરોને સર કરે છે. એમની આત્મકથાનું આલેખન સરિતાના પરમ શાંત પ્રસન્ન પ્રવાહની પેઠે, પરિમલથી પુલકિત પુષ્પ કે ધીરગંભીર ચિત્તાકર્ષક ગૌરવાન્વિત ગગનમંડળની પેઠે, એટલું બધું સહજ, સરસ, સ્વયંભૂ બન્યું છે કે વાત નહીં. એનું અધ્યયન અસાધારણ આનંદવર્ષણ કરનાર, અંતરને અનુપ્રાણિત કરનારું, અને આત્માને ઉદ્દાત બનાવનારું થઇ પડે છે. જીવનનું શ્રેય સાધે છે. એ એમને સિદ્ધહસ્ત સાહિત્યકાર તરીકે પુરવાર કરે છે. એમના સરખા સમર્થ સંતપુરુષે આલેખેલી અનુભવોની અનોખી સંહિતા સમી આ આત્મકથા પરમ પ્રકાશના સાક્ષાત્કારના પવિત્ર પંથનો પરિચય કરાવે છે અને એ પંથના પ્રવાસની પ્રેરણા આપે છે.

આ આત્મકથાએ ભારતવર્ષની સનાતન સાધના, આધ્યાત્મિકતા, સંતપરંપરા, અને હિમાલયના ગૌરવને વધાર્યું છે. એણે પ્રદર્શાવ્યું ને પૂરવાર કર્યું છે કે આજના વિષમ વખતમાં પણ પરમાત્માની પરમ કૃપાને પામેલા સાચા મહાત્માઓની પરંપરા ભારતમાં તૂટી નથી. એણે ભારતીય સંસ્કૃતિના નામને રોશન કર્યું છે.

- સ્વામી બ્રહ્મરૂપાનંદ, પરમધામ (હિમાલય)

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.