કેટલાક માણસો એમ માને છે કે સંસારમાં રહીને આત્મવિકાસની સાધના કરી શકાય જ નહિ. સંસાર તો પાર વિનાની પ્રતિકૂળતાઓ તથા કષ્ટોથી ભરેલો છે. એમાં રહીને મનને સ્થિર રાખવું ને સાધનામાં લગાડવું તથા પરમાત્માની પ્રાપ્તિ કરવી એકદમ અશક્ય છે. આત્મવિકાસની સાધના તો સંસાર છોડવાથી જ થઈ શકે છે. સંસારમાં રહીને કશું જ ન થાય. આપણે બહુબહુ તો વિકાસની વાતો કરીએ કે સાંભળીએ એટલું જ.
એવા માણસોને આપણે કહીશું કે તમારા મનમાંથી એવા નિર્બળ વિચારો કાયમને માટે કાઢી નાખો. એવા વિચારો ને ભાવોના દાસ બનાવાને બદલે, તમારા આત્માની અંદર જે વિરાટ શક્તિ છે એ શક્તિનો વિચાર કરો. તમારી અંદર શક્યતાઓનો ભારે અમૂલખ ભંડાર ભરેલો છે. તમે ચૈતન્યના સ્વામી છો, અમૃતમય છો, એ વાતને યાદ કરો તો તમારી અંદરની હતાશા હઠી જશે ને તમને નવી આશા, નવી હિંમત, નવા ઉત્સાહ અને નવા સામર્થ્યની પ્રાપ્તિ થશે. સંસારમાં રહીને આત્મવિકાસની સાધના ન જ કરી શકાય એમ માનવું બરાબર નથી. સંસારમાં રહીને તમે જે ધારો તે બધું જ કરી શકો છો. તમારા જેવા કેટલાય માણસોએ સંસારમાં રહીને જ આત્મવિકાસની સાધના કરેલી છે. ફક્ત જોઈએ છે એ માટેનો મક્કમ નિરધાર, નિશ્ચય, અને એને અનુસરનારો અનવરત, સમજપૂવર્કનો પ્રબળ પુરૂષાર્થ. એની મદદથી તમે પરમાત્માની પ્રાપ્તિ કરીને સ્વયં પરમાત્માતુલ્ય પણ બની શકો છો.
આત્મવિકાસની સાધના સંસારના ત્યાગથી જ કરી શકાય છે એવું ન માનતા. સંસારનો ત્યાગ કરનાર સૌ કોઈ સાધનાના મહત્વના કામમાં રસ લે છે કે સમય નિર્ગમન કરે છે એવું નથી દેખાતું. પ્રારંભમાં ત્યાગ એક અભિનવ જીવનચર્યાના પ્રયોગરૂપે હોવાથી આકર્ષક ને રસમય લાગે છે. પરંતુ વખત વીતવા સાથે કેટલીય વાર, ચોક્કસ કાર્યક્રમના અભાવને લીધે કંટાળો આપે છે અથવા તો અશાંતિ ઊભી કરે છે. વિકાસની વાતને વિસરી જઈને પાછળથી માણસ બીજી પેટા-પ્રવૃત્તિઓમાં પણ પડી જાય છે. એટલે ગણ્યાગાંઠ્યા અપવાદોને બાદ કરતાં, કેવળ ત્યાગ પણ જીવનને માટે શ્રેયસ્કર થાય છે એમ નથી કહી શકાતું. વિકાસનો મુખ્ય આધાર માણસની વૈરાગ્યવૃત્તિ તથા એની આગળ વધવાની તમન્ના પર રહે છે. એ ન હોય તો ત્યાગમય જીવન જડ બની જાય છે ને પ્રગતિનું સાધન નથી થતું.
તે ઉપરાંત, એવા જીવનની શક્યતા અથવા અનુકૂળતા દરેકને નથી હોતી. ત્યાગમય જીવન ગમે તેટલું આકર્ષક હોય તોપણ મોટા ભાગના જનસમાજે તો સંસાર ને વ્યવહારની વચ્ચે જ જીવવાનું છે. એનાથી સંસારનો બાહ્ય ત્યાગ નથી થઈ શકવાનો. એવા ત્યાગની આવશ્યકતા પણ સૌને નથી હોતી. એટલે એમણે તો વિવિધ વ્યવહારોની વચ્ચે રહીને પણ આત્મવિકાસ કરી શકાય એવો માર્ગ શોધવો પડશે. જો શાંતિપૂર્વક વિચારીને અમુક કાર્યક્રમ ઘડી કાઢવામાં આવે, અને અપ્રમાદી બનીને એ પ્રમાણે ચાલવામાં આવે, તો સંસાર જીવનવિકાસની વચ્ચે આવે છે એમ નહિ લાગે.
રામકૃષ્ણદેવે કહ્યું છે કે નાવ પાણીમાં રહે તેની હરકત નથી, પરંતુ પાણી નાવમાં ન રહે તે જોવાનું છે. તેવી રીતે તમે સંસારમાં રહો, પરંતુ તમારામાં સંસાર ન રહે તેનું ધ્યાન રાખો. આપણી આજુબાજુ નજર નાખતાં-નાખતાં જણાય છે કે માણસ સંસારમાં તો રહે છે જ, પરંતુ પરિસ્થિતિ એથી આગળ વધી છે, ને સંસાર માણસની અંદર રહેતો થઈ ગયો છે. સંસારની આસક્તિ, મમતા, અહંતા અને રાગદ્વેષની વૃત્તિએ માણસના મનમાં ઘર કર્યું છે. સંસારની પ્રવૃત્તિઓમાં માણસ ગળાબૂડ ડૂબી ગયો છે, ને જીવનના મુખ્ય આદર્શને ભૂલી ગયો છે. જો યાદ રાખી રહ્યો છે તોપણ, એ આદર્શને સાકાર કરવાના પ્રામાણિક પ્રયત્નો નથી કરી શકતો. મોટા ભાગના માણસો સાંસારિક પદાર્થોમાં જ રત છે, અને એમની મોટા ભાગની પ્રવૃત્તિ એમને માટે જ થઈ રહી છે. એમના જીવનમાં ધનપ્રાપ્તિ તેમ જ સાંસારિક સુખોપભોગ જ મુખ્ય ભાગ ભજવે છે. આત્મિક વિકાસનું સ્થાન એમાં નથી રહ્યું.
આ પરિસ્થિતિ ગંભીર છે, જોખમકારક છે, અને સુસંસ્કૃત કે પ્રગતિશીલ કહેવાતા માનવને માટે નામોશીરૂપ છે. આ પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવીને, સંસારમાં રહેવા છતાં સંસારની બૂરાઈઓથી પર રહેવાની કોશિશ કરવી જોઈએ. જેમ કમળ કાદવમાં રહે છે પરંતુ કાદવનો સ્પર્શ એની પાંખડીઓને નથી થતો, તેમ જુદીજુદી જાતની લૌકિક પ્રવૃત્તિઓ તમારા આત્માના ઓજસને હણી ન નાખે, તમારી માનવતાનો મૃત્યુઘંટ ન વગાડે, અને એ પ્રવૃત્તિઓમાં રહીને પણ તમે સદગુણી, સાત્વિક રહી શકો એવી કળા તમારે હસ્તગત કરી લેવી જોઈએ. સંસારમાં સરસા રહેતા શીખવું પડશે. એટલે કે ન્યાય ને નીતિના નિયમો પ્રમાણે ચાલવાનો આગ્રહ રાખવો પડશે. દુર્ગુણો, દુર્વિચારો અને દુષ્કર્મો પર અંકુશ મૂકતાં તેમ જ સદ્ ગુણો, સદ્ વિચારો ને સત્કર્મોની સુવાસથી તમારા પોતાના તથા બીજાના સંસારને સૌરભભીનો કરતાં શીખવું પડશે. સંસારમાં રહેવું ખરું, પરંતુ કાળજાને એનો કાટ ન લાગવા દેવો. એક આદર્શ માનવને છાજે એવી રીતે રહેવાનો પ્રયાસ કરવો. પોતાના તથા બીજાના હિતનો ખ્યાલ રાખીને સચ્ચાઈ, સંપ, સ્નેહ, સહકાર, સ્વાર્થત્યાગ ને સેવાભાવની મૂર્તિરૂપ બનીને રહેવું. એનું નામ સંસારમાં સરસા રહેવું. એવી રીતે રહેતાં શીખશો તો સંસાર વિઘ્નરૂપ નહિ થાય પરંતુ સહાયક થશે. જ્યાં રહો ત્યાં રહીને તમારા ને બીજાના વિકાસમાં મદદ કરી શકશો. યાદ રાખો કે આધ્યાત્મિક માર્ગમાં સદાચાર અથવા તો નીતિના નિયમોનું પાલન અત્યંત અગત્યનું છે. એને માટે વ્યાવહારિક જીવનમાં ઘણીઘણી શક્યતાઓ રહેલી છે. એનો લાભ લઈને દૈવી સંપત્તિનો વિકાસ કરી શકાય છે.
એની સાથેસાથે, સંસારમાં રહીને મનને ઈશ્વરમાં રાખવાની ટેવ પાડો. તમને અનુકૂળ એવો આત્મવિકાસનો કાર્યક્રમ તૈયાર કરો અને એને વળગી રહો. સાંસારિક પ્રવૃત્તિઓ માટે આટલો બધો વખત આપો છો, તો રોજનો એક કે દોઢ કલાક આત્મિક વિકાસના અલગ કાર્યક્રમ માટે પણ આપતા રહો. તે દરમિયાન પ્રાર્થના, જપ, ધ્યાન, સત્સંગ કે સદ્ ગ્રંથોનું વાચનમનન કરો. ભક્તિ, જ્ઞાન કે યોગ-તમને જે પસંદ હોય એના અભ્યાસ માટે એટલો સમય મુકર્રર કરો. એ ક્રિયા જડ ન બની જાય પરંતુ તમારા જીવનમાં રસ પેદા કરે, તથા તમારા સ્વભાવને ઉત્તરોત્તર શુદ્ધ કે ઉદાત્ત બનાવે તેનું ધ્યાન રાખો. માણસો જપ, ધ્યાન વાચન કે કથાશ્રવણ કરે છે, પરંતુ તેમના સ્વભાવમાં ભાગ્યે જ ફેર પડે છે. તે જાણે કે સંસ્કારપ્રૂફ થઈ ગયા હોય તેમ તેમની અંદર નવા ને સારા સંસ્કારોનું નિર્માણ જ નથી થતું. જ્યારે જુઓ ત્યારે તે એવા ને એવા જ હોય છે. સાધનાના અનુષ્ઠાનની સાથે માણસ તમોગુણી મટીને વધારે ને વધારે સત્વગુણી બને; ઉદાર, વિશાળ, પરગજુ કે પ્રેમાળ બને, એ જરૂરી છે. સાધનાની સફળતા એમાં જ છે. એ વાતને યાદ રાખીને સાધના કરતા રહો તો ઘેરબેઠાં તમારો વિકાસ સાધી શકશો. વિઘ્નો કે પ્રતિકૂળતાઓ આવે તેમાંથી માર્ગ કરતા આગળ વધતા રહેશો.
કોઈ કારણથી કોઈક અપવાદરૂપ માણસો ત્યાગનો આશ્રય લે એ વાત જુદી છે, બાકી મોટા ભાગના માણસોએ તો આવી રીતે જ આગળ વધવાનું છે.
- શ્રી યોગેશ્વરજી
એવા માણસોને આપણે કહીશું કે તમારા મનમાંથી એવા નિર્બળ વિચારો કાયમને માટે કાઢી નાખો. એવા વિચારો ને ભાવોના દાસ બનાવાને બદલે, તમારા આત્માની અંદર જે વિરાટ શક્તિ છે એ શક્તિનો વિચાર કરો. તમારી અંદર શક્યતાઓનો ભારે અમૂલખ ભંડાર ભરેલો છે. તમે ચૈતન્યના સ્વામી છો, અમૃતમય છો, એ વાતને યાદ કરો તો તમારી અંદરની હતાશા હઠી જશે ને તમને નવી આશા, નવી હિંમત, નવા ઉત્સાહ અને નવા સામર્થ્યની પ્રાપ્તિ થશે. સંસારમાં રહીને આત્મવિકાસની સાધના ન જ કરી શકાય એમ માનવું બરાબર નથી. સંસારમાં રહીને તમે જે ધારો તે બધું જ કરી શકો છો. તમારા જેવા કેટલાય માણસોએ સંસારમાં રહીને જ આત્મવિકાસની સાધના કરેલી છે. ફક્ત જોઈએ છે એ માટેનો મક્કમ નિરધાર, નિશ્ચય, અને એને અનુસરનારો અનવરત, સમજપૂવર્કનો પ્રબળ પુરૂષાર્થ. એની મદદથી તમે પરમાત્માની પ્રાપ્તિ કરીને સ્વયં પરમાત્માતુલ્ય પણ બની શકો છો.
આત્મવિકાસની સાધના સંસારના ત્યાગથી જ કરી શકાય છે એવું ન માનતા. સંસારનો ત્યાગ કરનાર સૌ કોઈ સાધનાના મહત્વના કામમાં રસ લે છે કે સમય નિર્ગમન કરે છે એવું નથી દેખાતું. પ્રારંભમાં ત્યાગ એક અભિનવ જીવનચર્યાના પ્રયોગરૂપે હોવાથી આકર્ષક ને રસમય લાગે છે. પરંતુ વખત વીતવા સાથે કેટલીય વાર, ચોક્કસ કાર્યક્રમના અભાવને લીધે કંટાળો આપે છે અથવા તો અશાંતિ ઊભી કરે છે. વિકાસની વાતને વિસરી જઈને પાછળથી માણસ બીજી પેટા-પ્રવૃત્તિઓમાં પણ પડી જાય છે. એટલે ગણ્યાગાંઠ્યા અપવાદોને બાદ કરતાં, કેવળ ત્યાગ પણ જીવનને માટે શ્રેયસ્કર થાય છે એમ નથી કહી શકાતું. વિકાસનો મુખ્ય આધાર માણસની વૈરાગ્યવૃત્તિ તથા એની આગળ વધવાની તમન્ના પર રહે છે. એ ન હોય તો ત્યાગમય જીવન જડ બની જાય છે ને પ્રગતિનું સાધન નથી થતું.
તે ઉપરાંત, એવા જીવનની શક્યતા અથવા અનુકૂળતા દરેકને નથી હોતી. ત્યાગમય જીવન ગમે તેટલું આકર્ષક હોય તોપણ મોટા ભાગના જનસમાજે તો સંસાર ને વ્યવહારની વચ્ચે જ જીવવાનું છે. એનાથી સંસારનો બાહ્ય ત્યાગ નથી થઈ શકવાનો. એવા ત્યાગની આવશ્યકતા પણ સૌને નથી હોતી. એટલે એમણે તો વિવિધ વ્યવહારોની વચ્ચે રહીને પણ આત્મવિકાસ કરી શકાય એવો માર્ગ શોધવો પડશે. જો શાંતિપૂર્વક વિચારીને અમુક કાર્યક્રમ ઘડી કાઢવામાં આવે, અને અપ્રમાદી બનીને એ પ્રમાણે ચાલવામાં આવે, તો સંસાર જીવનવિકાસની વચ્ચે આવે છે એમ નહિ લાગે.
રામકૃષ્ણદેવે કહ્યું છે કે નાવ પાણીમાં રહે તેની હરકત નથી, પરંતુ પાણી નાવમાં ન રહે તે જોવાનું છે. તેવી રીતે તમે સંસારમાં રહો, પરંતુ તમારામાં સંસાર ન રહે તેનું ધ્યાન રાખો. આપણી આજુબાજુ નજર નાખતાં-નાખતાં જણાય છે કે માણસ સંસારમાં તો રહે છે જ, પરંતુ પરિસ્થિતિ એથી આગળ વધી છે, ને સંસાર માણસની અંદર રહેતો થઈ ગયો છે. સંસારની આસક્તિ, મમતા, અહંતા અને રાગદ્વેષની વૃત્તિએ માણસના મનમાં ઘર કર્યું છે. સંસારની પ્રવૃત્તિઓમાં માણસ ગળાબૂડ ડૂબી ગયો છે, ને જીવનના મુખ્ય આદર્શને ભૂલી ગયો છે. જો યાદ રાખી રહ્યો છે તોપણ, એ આદર્શને સાકાર કરવાના પ્રામાણિક પ્રયત્નો નથી કરી શકતો. મોટા ભાગના માણસો સાંસારિક પદાર્થોમાં જ રત છે, અને એમની મોટા ભાગની પ્રવૃત્તિ એમને માટે જ થઈ રહી છે. એમના જીવનમાં ધનપ્રાપ્તિ તેમ જ સાંસારિક સુખોપભોગ જ મુખ્ય ભાગ ભજવે છે. આત્મિક વિકાસનું સ્થાન એમાં નથી રહ્યું.
આ પરિસ્થિતિ ગંભીર છે, જોખમકારક છે, અને સુસંસ્કૃત કે પ્રગતિશીલ કહેવાતા માનવને માટે નામોશીરૂપ છે. આ પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવીને, સંસારમાં રહેવા છતાં સંસારની બૂરાઈઓથી પર રહેવાની કોશિશ કરવી જોઈએ. જેમ કમળ કાદવમાં રહે છે પરંતુ કાદવનો સ્પર્શ એની પાંખડીઓને નથી થતો, તેમ જુદીજુદી જાતની લૌકિક પ્રવૃત્તિઓ તમારા આત્માના ઓજસને હણી ન નાખે, તમારી માનવતાનો મૃત્યુઘંટ ન વગાડે, અને એ પ્રવૃત્તિઓમાં રહીને પણ તમે સદગુણી, સાત્વિક રહી શકો એવી કળા તમારે હસ્તગત કરી લેવી જોઈએ. સંસારમાં સરસા રહેતા શીખવું પડશે. એટલે કે ન્યાય ને નીતિના નિયમો પ્રમાણે ચાલવાનો આગ્રહ રાખવો પડશે. દુર્ગુણો, દુર્વિચારો અને દુષ્કર્મો પર અંકુશ મૂકતાં તેમ જ સદ્ ગુણો, સદ્ વિચારો ને સત્કર્મોની સુવાસથી તમારા પોતાના તથા બીજાના સંસારને સૌરભભીનો કરતાં શીખવું પડશે. સંસારમાં રહેવું ખરું, પરંતુ કાળજાને એનો કાટ ન લાગવા દેવો. એક આદર્શ માનવને છાજે એવી રીતે રહેવાનો પ્રયાસ કરવો. પોતાના તથા બીજાના હિતનો ખ્યાલ રાખીને સચ્ચાઈ, સંપ, સ્નેહ, સહકાર, સ્વાર્થત્યાગ ને સેવાભાવની મૂર્તિરૂપ બનીને રહેવું. એનું નામ સંસારમાં સરસા રહેવું. એવી રીતે રહેતાં શીખશો તો સંસાર વિઘ્નરૂપ નહિ થાય પરંતુ સહાયક થશે. જ્યાં રહો ત્યાં રહીને તમારા ને બીજાના વિકાસમાં મદદ કરી શકશો. યાદ રાખો કે આધ્યાત્મિક માર્ગમાં સદાચાર અથવા તો નીતિના નિયમોનું પાલન અત્યંત અગત્યનું છે. એને માટે વ્યાવહારિક જીવનમાં ઘણીઘણી શક્યતાઓ રહેલી છે. એનો લાભ લઈને દૈવી સંપત્તિનો વિકાસ કરી શકાય છે.
એની સાથેસાથે, સંસારમાં રહીને મનને ઈશ્વરમાં રાખવાની ટેવ પાડો. તમને અનુકૂળ એવો આત્મવિકાસનો કાર્યક્રમ તૈયાર કરો અને એને વળગી રહો. સાંસારિક પ્રવૃત્તિઓ માટે આટલો બધો વખત આપો છો, તો રોજનો એક કે દોઢ કલાક આત્મિક વિકાસના અલગ કાર્યક્રમ માટે પણ આપતા રહો. તે દરમિયાન પ્રાર્થના, જપ, ધ્યાન, સત્સંગ કે સદ્ ગ્રંથોનું વાચનમનન કરો. ભક્તિ, જ્ઞાન કે યોગ-તમને જે પસંદ હોય એના અભ્યાસ માટે એટલો સમય મુકર્રર કરો. એ ક્રિયા જડ ન બની જાય પરંતુ તમારા જીવનમાં રસ પેદા કરે, તથા તમારા સ્વભાવને ઉત્તરોત્તર શુદ્ધ કે ઉદાત્ત બનાવે તેનું ધ્યાન રાખો. માણસો જપ, ધ્યાન વાચન કે કથાશ્રવણ કરે છે, પરંતુ તેમના સ્વભાવમાં ભાગ્યે જ ફેર પડે છે. તે જાણે કે સંસ્કારપ્રૂફ થઈ ગયા હોય તેમ તેમની અંદર નવા ને સારા સંસ્કારોનું નિર્માણ જ નથી થતું. જ્યારે જુઓ ત્યારે તે એવા ને એવા જ હોય છે. સાધનાના અનુષ્ઠાનની સાથે માણસ તમોગુણી મટીને વધારે ને વધારે સત્વગુણી બને; ઉદાર, વિશાળ, પરગજુ કે પ્રેમાળ બને, એ જરૂરી છે. સાધનાની સફળતા એમાં જ છે. એ વાતને યાદ રાખીને સાધના કરતા રહો તો ઘેરબેઠાં તમારો વિકાસ સાધી શકશો. વિઘ્નો કે પ્રતિકૂળતાઓ આવે તેમાંથી માર્ગ કરતા આગળ વધતા રહેશો.
કોઈ કારણથી કોઈક અપવાદરૂપ માણસો ત્યાગનો આશ્રય લે એ વાત જુદી છે, બાકી મોટા ભાગના માણસોએ તો આવી રીતે જ આગળ વધવાનું છે.
- શ્રી યોગેશ્વરજી