તમારા દિવ્ય દર્શનની, લગન જેને ગઈ લાગી,
સુખી તે તો થયા સાચા,થયા છે તે જ બડભાગી.
તમારા વહાલની વીણા, ગઈ જેને હૃદય વાગી,
થયા તે ધન્ય જીવનમાં, તમારા એક અનુરાગી.
તમારું જે રટણ કરતા, સ્મરે તમને સદાયે જે,
જતા જડતામહીંથી એ, સદાને કાજ જન જાગી.
ધરીને દેહ દુનિયામાં, રહે તમને જ જે માગી,
તમે પણ તેમને માટે, ખરે દેતા બધું ત્યાગી.
- શ્રી યોગેશ્વરજી