બાંધી શિરે સ્વચ્છ રૂમાલને જે,
બેઠા બની શાંત શિલાપરે છે;
તે દેવના દેવ અશાંતિને હરો,
રક્ષો મને તેમ સદા કૃપા કરો !
પ્રશાંત કેવા પ્રભુ છો પ્રભાભર્યા,
આવી તમારે શરણે ઘણા તર્યા;
ભક્તોતણા કોડ તમે બધા પુરો,
રક્ષો મને તેમ સદા કૃપા કરો !
નથી તમારાસમ દેવ કોઈ,
છો વેદમાં બ્રહ્મ કહેલ સોઈ;
અનેક રૂપે જગમાં તમે ફરો,
રક્ષો મને તેમ સદા કૃપા કરો !
છોડી તમોને કદિયે દઊં ના,
કો અન્યની આશ વળી કરું ના;
આપેલ તો કોલ થશે ન કાં ખરો ?
રક્ષો મને તેમ સદા કૃપા કરો !
અનંતધારે કરુણા વહાવો,
ને પ્રેમના મુક્ત કરો ઝરાઓ;
દ્રષ્ટિ કરો, ધન્ય વિમુક્ત ને કરો,
રક્ષો મને તેમ સદા કૃપા કરો !
- શ્રી યોગેશ્વરજી