તમારા વિના બીજું મને કોણ સમજે ?
મારા હૃદયને સારી રીતે સમજવાની તાકાત જ બીજા કોનામાં છે ?
એક તમે મારા હૃદયને પૂરેપૂરું જાણો છે,
ને તમે જ તેના રૂપરસને બરાબર માણો છો.
મારી ઊર્મિ ને મારી ભાવના, મારા આદર્શ ને મારા વિચાર;
મારી આશા, મહત્વકાંક્ષા ને મારા ઉમંગ;
તમારા વિના બીજું કોઈયે જાણી, પ્રમાણી કે સમજી શકે તેમ નથી.
તેની કિંમત કોઈ જ કરી શકે તેમ નથી.
એ શક્તિ ને એ વિશેષતા કેવળ તમારામાં જ છે.
તમે મારા પ્રાણના પ્રત્યેક સ્પંદન ને પરમાણુને જાણો છે,
ને મારા હૃદયના રણકાર ને છાતીના ધડકારની ગતિવિધિને સમજી શકો છો.
માટે જ તમારી પાસે મારા હૈયાને વહેતું મૂકું છું,
ને પ્રાણને છંદોના રૂપમાં પ્રકટ કરી
તમારા ચરણોમાં મારા સર્વસ્વનું સમર્પણ કરું છું.
છંદની રચના મારે માટે અંતરની અભિવ્યક્તિની સાધના થઈ પડી છે.
- શ્રી યોગેશ્વરજી