તમારા મહિમાનું જયગાન સાંભળીને મેં તો મનમાં સંકલ્પ કરી લીધો છે
કે તમારા વિના કોઈનુંયે શરણ ના લેવું :
અંતરના અંતરતમમાંથી તમને જ પ્રેમ કરવો ને તમારા જ રાગે રંગાઈ જવું.
જીવનનું પાવન પ્રભાત પ્રકટ્યું ત્યારથી જ મેં તો નિર્ણય કર્યો છે.
તમને હૃદય દેવું ને તમારી જ આરાધના કરવી.
તમારા વિના કોઈ બીજાને ભજવું કે રટવું નહિ.
દિન રાત એક તમારી જ આરતી આંખ ને અંતરમાં ઉતાર્યા કરવી, એવો મેં તો સંકલ્પ કર્યો છે.
જીવનના અરુણોદયથી જ સંકલ્પ કર્યો છે.
આવો ઉત્તમ અવસર મળ્યો છે તો તમને જ વરી લેવું એવો મેં નિર્ણય કર્યો છે;
તમારા સુધામય સ્વરૂપને એક વાર જોતાંવેંત જ નિર્ણય કર્યો છે.
મારો સંકલ્પ કદિ તૂટે નહિ, આપણો પ્રેમ કદિ છૂટે નહિ, એનું ધ્યાન રાખજો.
મને તમારો પોતાનો સમજીને ધ્યાન રાખજો.
- શ્રી યોગેશ્વરજી