यदाऽतमस्तान्न दिवा न रात्रिः न सन्नचासच्छिव एव केवलः ।
तदक्षरं तत् सवितुर्वरेण्यं प्रज्ञा च तस्मात् प्रसृता पुराणी ॥१८॥
yada'tamastanna diva na ratrih
na sannachasacchhiva eva kevalah ।
tadaksaram tat saviturvarenyam
prajna cha tasmat prasrta purani ॥ 18॥
અજ્ઞાનરૂપી અંધારૂં આ મટી જાયે છે પૂર્ણપણે,
ત્યારે જે દેખાયે છે તે દિવસ નથી કે રાત ન તે,
સત્ય કે નથી અસત્ય, તે તો કેવલ મંગલ તત્વ જ છે,
અવિનાશી તે શ્રેષ્ઠ સૂર્યથી, આદિ જ્ઞાનના સ્વામી છે. ॥૧૮॥
અર્થઃ
યદા - જ્યારે
અતમઃ (સ્યાત્) - અવિદ્યારૂપી અંધકારનો સંપૂર્ણપણે અંત આવે છે.
તત્ - તે વખતે (અનુભવાતા પરમાત્મા)
દિવા - દિવસ
ન - નથી
રાત્રિઃ - રાત
ન - નથી
સત્ - સત્ય
ન - નથી હોતા
ચ - અને
અસત્ - અસત્ય
ન - નથી હોતા
કેવલઃ - એકમાત્ર, શુદ્ધ
શિવઃ એવ - કલ્યાણકારક કલ્યાણરૂપ જ હોય છે.
તત્ - તે
અક્ષરમ્ - અવિનાશી છે.
તત્ - તે
સવિતુઃ - સૂર્યાભિમાની દેવતાના પણ
વરેણ્યમ્ - ઉપાસ્ય છે.
ચ - અને
તસ્માત્ - એમનામાંથી જ
પુરાણી - પુરાતન
પ્રજ્ઞા - જ્ઞાન
પ્રસૃતા - ફેલાયેલું છે.
ભાવાર્થઃ
પરમાત્મા દિવસ તથા રાતની અસરોથી મુક્ત છે. એ દર્શાવતાં જણાવે છે કે ધ્યાનની સતત સાધના દ્વારા સાધક અતિન્દ્રિય અવસ્થામાં પ્રવેશીને પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે ત્યારે એ વખતે દિવસ કે રાતના સ્થૂળ ભેદ નથી હોતાં. પરમાત્મા સ્વયં પ્રકાશ હોવાથી એમને પ્રકાશવા માટે દિવસની અને એના સ્વામી સૂર્યની આવશ્યકતા નથી હોતી. એમની પાસે રાત પણ નથી પહોંચતી. એ સત્ય અને અસત્ય બંનને પ્રકારની ઉપાધિથી પર છે. કોઇપણ પ્રકારના ગુણ કે ધર્મની મર્યાદા વિશેષમાં બંધાયેલા નથી. પરમ પવિત્ર, એકાકી અને કલ્યાણરૂપ છે. એમનો કદી, કોઇ સ્થળે, કોઇ કારણે નાશ થતો નથી અથવા અંત આવતો નથી. એ સૂર્યાદિમાં જે દૈવી શક્તિ છે એથી પણ શ્રેષ્ઠ છે. એ શક્તિ એમની અનંત અસીમ શક્તિના અલ્પ અંશ જેવી છે. એમની અંદર પરમજ્ઞાન રહેલું છે. એ પરમજ્ઞાનના મૂર્તિમંત સ્વરૂપ છે. એમનામાં અવિદ્યારૂપી અંધકારનો લેશ પણ નથી.