વસંતની વહેલી સવારે પવનની લલિત લહરી દોડાદોડ કરે છે ત્યારે, બાજુના બગીચામાં માળી પ્રવેશ કરે છે. સુવાસ ને સુંદરતાથી સંપન્ન સુમનનો સંચય કરીને થોડીવારમાં તો એ પાછો પણ ફરે છે.
મંદિરના મહાદેવને માટે મનહર માળા કરવાનો એનો મનોરથ છે.
વસંતની વહેલી સવારે મેં પણ મારા નાનાસરખા ઉપવનમાં પ્રવેશ કર્યો છે, એમાં જે કાંઈ શુભ ને સુંદર, સુવાસિત ને સનાતન છે, એને એકઠું કરીને તમારી પૂજા ને સેવા સારુ સમર્પિત કરું છું !
તમારા જ ઉપવનનાં તમારાં જ સુમન છે; તેમને તમારા ને તમારા સંસારની સેવાસારુ સમર્પિત કરું છું !
(૨૯-૧-૧૯૬૦, શુક્રવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)